Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

ભાવનગરમાં ડો.જયેશ પંડયાના બંધ મકાનમાં હાથફેરો કરનાર બે ઝડપાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.૨૪ : ભાવનગરના કાળુભા રોડ માધવ દીપની બાજુમાં આવે નાનભાવાડી વિસ્‍તારમાં રહેતા જાણીતા બાળરોગ નિષ્‍ણાત ડો. જયેશભાઈ પંડ્‍યા બહારગામ ગયા હતા તે દરમિયાન તેમના બંધ મકાનને તસ્‍કરોએ નિશાન બનાવ્‍યું હતું અને ઘરના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રાખેલા ચાંદીના વાસણો અને ચાંદીની આઈટમો મળી કુલ રૂ.૭ લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ચોરીની આ ઘટના અંગે ડો. જયેશભાઈ પંડ્‍યાએ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

નીલમબાગ પોલીસે ચોરીની ઘટનાને ગંભીરતાથી લઈ સર્વેલન્‍સ સ્‍ટાફની બે અલગ અલગ ટીમને તપાસમાં જોડી સીસીટીવી કેમેરા ના ફૂટેજ તેમજ ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી ચોરીના ગુનામાં સંડોવાયેલ મનોજ ઉર્ફે ચીમન મહેશભાઈ ગોહેલ (ઉં. વ. ૧૯) અને અસલમ ઉર્ફે ભંગારી ફિરોજભાઈ સૈયદ (ઉં.વ. ૧૮ , રહે બંને મોતીતળાવ કુંભારવાડા) ને ઝડપી લઇ ચોરી કરેલ ૯.૫૮૯ કિલોગ્રામ નો ચાંદીનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ચોરીની આ ઘટનામાં નાસીર ઉર્ફે નાગ લીલાકાત હુસેન રફાઈની પણ સંડોવણી ખુલતા તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

આ કામગીરીમાં નીલમબાગ પોલીસ મથકના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર પી.ડી. પરમાર, એ.એસ.આઇ. જે. બી. ત્રિવેદી, હેડ કોન્‍સ્‍ટેબલ એ.એસ. ગોહિલ, કોન્‍સ્‍ટેબલ અતુલભાઇ, જયદીપસિંહ, શક્‍તિસિંહ, વીરભદ્રસિંહ, ધર્મેન્‍દ્રસિંહ, મહાવીરસિંહ સહિતના જોડાયા હતા.

(10:47 am IST)