Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

જામજોધપુર ડેપોની દાદાગીરી સામે આગેવાનોનું સ્‍ટીંગ ઓપરેશન : બાયપાસ થતી બસને ગોંડલ બસસ્‍ટેન્‍ડમાં લવાઇ

ગોંડલ તા.૨૪ : ગોંડલ ને બાયપાસ કરી અંદાજે બસ્‍સો થી વધુ બસો બાયપાસ દોડી રહી હોય છેલ્લા એક સપ્તાહ થી ધારાસભ્‍ય કાર્યાલય દ્વારા ઉચ્‍ચ કક્ષાએ રજુઆત સાથે ઝુંબેશ ચલાવાઇ રહી છે.

દરમિયાન જામજોધપુર ડેપો ની બસો ગોંડલ સ્‍ટોપ હોવા છતા થોભતી ના હોય ધારાસભ્‍ય ગીતાબા જાડેજા ના પ્રતિનિધિ રાજેન્‍દ્રસિંહ જાડેજા,જીતુભાઇ આચાર્ય, જશ્‍મીનભાઇ ધડુક, રવિભાઇ સોલંકી સહિતે સ્‍ટીંગ ઓપરેશન હાથ ધરી ગોંડલ થી વિરપુર બસસ્‍ટેન્‍ડ પંહોચી જામજોધપુર થી સેંજલી જતી એક્‍સ-ેસ મા પેસેન્‍જર તરીકે બેઠા  હતા.રાજેન્‍દ્રસિંહ જાડેજાએ ગોંડલ ની ટીકીટ માંગતા કંડક્‍ટર બાલુભાઇ કરમટા એ ગોંડલ બસસ્‍ટેન્‍ડ ને બદલે બાયપાસની ટીકીટ આપતા રાજેન્‍દ્રસિંહ જાડેજા, જીતુભાઇ આચાર્ય સહિતના આગેવાનોએ ગોંડલ બસસ્‍ટેન્‍ડ મા બસ કેમ નહી જાય તેવુ પુછતા કંડક્‍ટર ડેપો મેનેજરની સુચના છે તેવુ કહેતા રાજેન્‍દ્રસિંહ જાડેજાએ જામજોધપુર ના ડેપો મેનેજર એસ.મોમીન સાથે ગોંડલ સ્‍ટોપ હોવા છતા શા માટે બસ થોભતી નથી  તેવી વાત કરી હતી. વધુમાં આ અંગે રાજકોટ વિભાગીય નિયામકે સુચના પણ આપી હોવાનુ કહેતા તોછડો જવાબ મળતા ઉગ્ર બનેલા રાજેન્‍દ્રસિંહ જાડેજાએ રાજકોટ વિભાગીય નિયામક કલોત્રાને જાણ કરતા કલોત્રાએ તુરંત જામજોધપુર સુચના આપતા આખરે મોમીને બસ ડ્રાઇવર અરવિંદ જલુને ગોંડલ બસસ્‍ટેન્‍ડ પર બસ લેવા સુચના આપતા અંતે જામજોધપુર સંજેલી બસ ગોંડલ બસસ્‍ટેન્‍ડ પંહોચી હતી.ચાલુ બસે સ્‍ટીંગ ઓપરેશન કરાયુ હોય બસ મા બેઠેલા પેસેન્‍જરો પણ અચંબીત થયા હતા.

 ખુબીની વાત એ હતી કે બસ ના બોર્ડમાં ગોંડલ લખેલુ હતુ પણ ચેકી નખાયુ હતુ.બીજુ જેતપુરનું નામ ના હોવા છતા જેતપુર બસસ્‍ટેન્‍ડ માં સ્‍ટોપ અપાયો હતો.

ડ્રાઇવર કંડક્‍ટર અને કેટલાક ડેપો મેનેજરની દિલદગડાઇ ને કારણે ગોંડલને ખુલ્લો અન્‍યાય થઈ રહ્યાનું રાજેન્‍દ્રસિંહ દ્વારા કરાયેલા સ્‍ટીંગ ઓપરેશન દ્વારા બહાર આવ્‍યુ હતુ.બાદમાં રાજેન્‍દ્રસિંહ જાડેજાએ ધારાસભ્‍ય ગીતાબા જાડેજાના કાર્યાલયે પંહોચી વાહનવ્‍યવહાર મંત્રી સહિત ઉચ્‍ચ કક્ષાએ બનાવ અંગેની જાણ કરી હતી.

(11:42 am IST)