Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

દાવલ શાહપીરનો ઉર્ષ

(મહેશ પંડયા દ્વારા) આમરણ તા. ર૪ :. આમરણ ખાતે આવેલ હઝરત દાવલ શાહપીરની દરગાહ ખાતે પરંપરાગત પ૩૦માં ઉર્ષ શરીફની શાનદાર ઉજવણી આગામી તા. ૧-૬ ગુરુવારના રોજ કરવામાં આવશે.

દાવલ શાહપીર દરગાહ ટ્રસ્‍ટના ઉપક્રમે યોજાનાર આ પ્રસંગે રાત્રીના ૧૦ થી ૧ર સંદલ વિધિ પૂર્ણ થયા બાદ ટ્રસ્‍ટ દ્વારા દાવલા શાહપીરની મઝાર પર પ્રથમ સોડ સૈયદ જમાતના પીરે તરીકત ઝાકિર હુસેનબાપુ (માંગરોળવાળા) ના હસ્‍તે ચઢાવવામાં આવશે. ત્‍યારબાદ શ્રધ્‍ધાળુઓના દર્શનાર્થે દરગાહના દ્વાર ખુલ્લા મુકવામાં આવશે.

રાત્રીભર ન્‍યાજનું જમણ ચાલુ રહેશે. દર વર્ષ હજારોની સંખ્‍યામાં લોકો હિન્‍દુ મુસ્‍લિમ એકતાના પ્રતિક એવા આ ઉર્ષમાં ભાગ લેવા ઉમટી પડે છે. ટ્રસ્‍ટ દ્વારા આમ જનતાને ઉર્ષ ઉજવણીમાં ભાગ લેવા જાહેર આમંત્રણ પાઠવાયું છે.

તદુપરાંત દરબારીવાસમાં આવેલ શિર મુબારક દરગાહ ખાતે પણ ઉજવણી કરવામાં આવશે. રાત્રીભર કવ્‍વાલીનું આયોજન કરવામાં આવ્‍યું છે. શ્રધ્‍ધાળુઓને લાભ લેવા મુજાવર અશરફમિંયા બાપુ દ્વારા જણાવાયું છે.

(4:57 pm IST)