Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

જામનગરમાં અંધાશ્રમ ફાટક નજીક આવાસો જર્જરીત : સતત પડતા પોપડા

કોઇ દુર્ઘટના સર્જાય તે પહેલા કોર્પોરેશન તંત્ર કામગીરી કરે : વિપક્ષો સભ્‍યો આવાસની મુલાકાતે

જામનગર તા. ૨૪ : ૪ દાયકા પહેલા ફાળવવામાં આવેલા આવાસો હવે લાભાર્થી માટે જોખમી સાબિત થઇ રહ્યા છે. શહેરના અંધાશ્રમ ફાટક નજીક આવેલા આવાસો અત્‍યંત જર્જરિત હાલતમાં છે. જેના કારણે તેમાં રહેતા લોકો પર સતત ભય તોળાઇ રહ્યો છે. છતની દિવાલ હોય કે સીડી, કે પછી ગેલેરી જયાં જુઓ ત્‍યાં તમામ જગ્‍યાએ સતત મોટા પોપડાં પડી રહ્યા છે.

તો અનેક ઘરમાંથી સળિયા પણ બહાર ડોકાઇ રહ્યા છે. કેટલાક આવાસોની હાલત એવી છે કે તે માત્ર પડવાના વાંકે ઉભા છે. પરંતુ ગરીબ લાભાર્થીઓ આવાસોને રિપેર કરાવી શકે તેમ પણ નથી. કે અન્‍ય જગ્‍યાએ ભાડે રહેવા જવું પણ તેમના માટે શકય નથી. કુલ ૧૪૦૪ આવાસોમાં આશરે ૪ હજારથી વધુ લોકો વસવાટ કરે છે. જેના પર સતત જોખમ ઝળુંબી રહ્યું છે.

આવાસ અત્‍યંત જર્જરિત હાલતમાં હોવાથી અનેક લોકો ડરના માર્યા સ્‍થળાંતર કરી ગયા છે. પોતાની માલિકીનું મકાન હોવા છતાં તેઓ અન્‍ય જગ્‍યાએ રહેવા મજબૂર બન્‍યા છે. મનપામાં વિપક્ષના નેતાઓએ આવાસની મુલાકાત લઇ કોઇ મોટી દુર્ઘટના બને તે પહેલા આવાસનું સમારકામ કરવાની માગ કરી છે.

આવાસની હાલત વિશે તંત્ર પણ અજાણ નથી. મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ૪ વર્ષથી આવાસમાં રહેતા લોકોને નોટિસ આપવામાં આવે છે. પરંતુ તંત્ર માત્ર નોટિસ આપી જવાબદારીમાંથી છટકી જતું હોવાનો લોકોનો આક્ષેપ છે. બીજી તરફ મનપાનું કહેવું છે કે નિયમ મુજબ આવાસોનું સમારકામ કરાવવાની જવાબદારી તેમાં રહેતા લોકોની છે.

વિપક્ષના નેતા દ્વારા માંગ કરવામાં આવી છે કે કોઈ દુર્ધટના બને તે પહેલા મહાનગર પાલિકા દ્વારા યોગ્‍ય કામગીરી કરવામાં આવે.સ્‍થાનિકોએ ફરીયાદ કરી છે કે આવાસના પડયા બાદ કોઈનો મોત થયા પછી સરકાર સહાય આપે તે કરતા અકસ્‍માત ના બને તે માટે અગાઉથી કામગીરી કરવામાં આવે. વિપક્ષના નેતા ધવલ નંદા, કોર્પોરેટર રચનાબેન નંદાણિયા, શહેર કોંગ્રેસના પ્રમુખ વિરેન્‍દ્રસિંહ જાડેજાએ આવાસની મુલાકાત લીધી. લોકોની મુશ્‍કેલી જાણી તેના કાયમી ઉકેલ માટેની અધિકારીઓ પાસે વિપક્ષના સભ્‍યોએ માગ કરી છે.

(1:39 pm IST)