Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

દ્વારકાધીશ મંદિરમાં જયેષ્ઠાભિષેક મહોત્સવની ઉજવણીઃ બાલ સ્વરૂપ ગોપાલજીની જલયાત્રા

દ્વારકા : દ્વારકાશીધ જગત મંદિરમાં આજે જેઠ સુદ પુનમના શુભ દિને જયેષ્ઠાભિષેક મનોરથની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. સવારે જયેષ્ઠા નક્ષત્રમાં શ્રીજીની મંગલા આરતી બાદ ઠાકોરજીને જયેષ્ઠાભિષેક કરાયો હતો. જેમાં શ્રીજીનું ઋતુનુસાર અમૃત (આંબા) તેમજ દ્વારકાના અઘોર કુંડના પવિત્ર જલથી જલાભિષેક કરવામાં આવ્યો હતો. સાંજના શ્રીજીના બાલ સ્વરૂપ ગોપાલજીને મંદિરના ગર્ભગૃહથી બહાર નિજ સભાખંડમાં નૌકાવિહાર કરાવવામાં આવ્યો હતો. જગત મંદિરમાં શ્રીજીના જેષ્ઠાભિષેક ઉત્સવ નિમિતે જલયાત્રા ઉત્સવ નિમિતે સાંજના સમયે જગત મંદિરમાં પવિત્ર જલથી જલ કુંડ (હોજ) ભરવામાં આવ્યો હતો જેમાં ભગવાનનું બાલ સ્વરૂપ ગોપાલજીને નાવમાં બેસાડી નૌકા ઉત્સવ એટલે કે જલયાત્રા ઉત્સવ મનોરથની ઉજવણી કરવામાં આવી હતી જેનો લાભ પ્રત્યક્ષ તેમજ ઓનલાઇન માધ્યમથી બહોળી સંખ્યામાં ભાવિકોએ લીધો હતો. (અહેવાલ : વિનુભાઇ સામાણી, તસ્વીર : દિપેશ સામાણી -દ્વારકા)

(11:52 am IST)