Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

જુનાગઢ અને માણાવદરના ૧-૧ કોરોના દર્દીનું મોત

સમગ્ર જિલ્લામાં એક જ દિવસમાં વધુ ૨૮ કેસ નોંધાયા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૨૬ : જૂનાગઢ જિલ્લામાં મંગળવારે બે કોરોના દર્દીના મોત થવાની સાથે ૨૮ નવા કેસ સાથે કોરોનાએ ફુંફાડો માર્યો હતો.

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં અવિરત વધારો થઇ રહ્યો છે. ગઇકાલે સમગ્ર જિલ્લામાં કોરોનાએ પોતાની હાજરી નોંધાવી હતી.

જૂનાગઢ સીટીમાં સૌથી વધુ ૧૪ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જ્યારે જૂનાગઢ ગ્રામ્ય, ભેંસાણ, માળીયા, મેંદરડા અને વિસાવદરમાં કોરોનાનો ૧-૧ કેસ નોંધાયો હતો. કેશોદમાં ત્રણ તેમજ વંથલી, માણાવદર અને માંગરોળની બે-બે વ્યકિતએ કોરોનાને ઝપટમાં લેતા મંગળવારે એક જ દિવસમાં ૨૮ કેસ પ્રકાશમાં આવેલ.

જિલ્લામાં ૨૮ પોઝિટિવ કેસ વધવાની સાથે ગઇકાલે બે મોત પણ વધ્યા હતા. જુનાગઢ ગ્રામ્ય અને માણાવદરના એક-એક કોરોના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.

જૂનાગઢ જિલ્લામાં ગઇકાલ સુધી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને ૧૫૪૪ થઇ છે. જોકે મંગળવારે એક સાથે ૨૫ કોરોના દર્દીને ડિસ્ચાર્જ પણ કરવામાં આવેલ. જૂનાગઢ જિલ્લામાં કુલ ૨૦૪ કન્ટેઇનમેન્ટ ઝોનમાં ૨૦૦૩ ઘરોના ૭,૪૩૧ લોકોનો સમાવેશ થાય છે.

(1:18 pm IST)