Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

સોમનાથના સાનિધ્‍યમાં દેશના ૭૪માં ગણતંત્ર પર્વે ધ્‍વજ વંદન કરવામાં આવ્‍યુ

રાષ્‍ટ્ર ધ્‍વજ અને ધર્મ ધ્‍વજના એકસાથે દર્શન કરી યાત્રીકો ધન્‍ય બન્‍યા..

(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસ પાટણ, તા.૨૬: સોમનાથ મંદિર આપણી ધાર્મિકતા અને રાષ્‍ટ્રીયતાનું માનબીંદુ છે.  સોમનાથ મંદિર નિર્માણ અને સ્‍વતંત્રતા મળ્‍યા બાદ દેશ નીર્માણની ચળવળ એક સાથે શરૂ થઇ હતી. સરદાર વલ્લભભાઇ પટેલ, કનૈયાલાલ મુન્‍શી, જામ સાહેબ દિગ્‍વિજયસિંહ, કાકા સાહેબ ગાડગીલ સહિતના મહાનુભાવો આ પાવન કાર્યમાં જોડાયેલ અને સરદારશ્રીના સમુદ્ર જળથી લીધેલ મંદિર પુનઃનિર્માણનો સંકલ્‍પ, ૧૧ મે ૧૯૫૧ એ ગર્ભગળહનું લોકાર્પણ અને ત્‍યારબાદ ૧ ડીસેમ્‍બર ૧૯૯૫ એ તત્‍કાલીન રાષ્‍ટ્રપતી ડો.શંકરદયાલ શર્માના કર કમલોથી કળશ અનાવરણ વિધિ અને મંદિર લોકાર્પણ સાથે પુર્ણ થયો હતો.

૭૪'માં ગણતંત્ર પર્વની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવેલ, સોમનાથ પરીસરમાં ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી અને પ્રોફેસર જે ડી પરમારના વરદ હસ્‍તે ધ્‍વજ વંદન યોજાયેલ જેમાં પોલીસ કર્મીઓ, એસ.આર.પી, જી.આર.ડી તથા ટ્રસ્‍ટના સલામતી સ્‍ટાફ, ટ્રસ્‍ટના અધિકારી કર્મચારીઓ જોડાયા હતા. ધ્‍વજ વંદન બાદ ભારતમાતા અને સરદાર પ્રતિમાને ભાવાંજલી, પુષ્‍પાંજલી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દેશભરથી આવતા યાત્રીઓ જોડાયા હતા અને ધન્‍ય બન્‍યા હતા.

આખો દેશ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે, ત્‍યારે પ્રથમ જ્‍યોર્તિલિંગ સોમનાથમાં ધર્મ ધ્‍વજ સાથે રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવાયો હતો. જેના દર્શન કરીને લોકોમાં ધાર્મિક સહિષ્‍ણુતા અને દેશભક્‍તિ સભર વાતાવરણ સર્જાયું હતું.

સોમનાથમાં પ્રજાસત્તાક પર્વ પર ૨ ધ્‍વજ ફરકી રહ્યા હતા. એક સોમનાથનો ધર્મ ધ્‍વજ કે જે આપણી આસ્‍થા અને અખંડિતતાનો સૂચક છે. એક આપણા સૌનો રાષ્‍ટ્રધ્‍વજ ત્રિરંગો કે જે આપણી વિવિધતામાં એકતાનું પ્રતિક છે.

પ્રજાસત્તાક પર્વે સંદેશ આપતા પ્રો. જે ડી પરમારે જણાવ્‍યુ હતુ કે, દેશ ૨૬ જાન્‍યુ. ૧૯૫૦ ના રોજ આઝાદ થયેલ, આ દિવસે સંવિધાન રચાયેલ અને ત્‍યારથી આપણે પ્રજાસત્તાક નાગરીક તરીકે જીવતા થયા છે. સમગ્ર વિશ્વમાં સૌથી મોટી લોકશાહી એ ભારતમાં છે, જે આપણા માટે ગૌરવની વાત છે. ભારતની લોકશાહી સંસદીય લોકશાહી છે, જેમાં સર્વોપરી સત્તા સાંસદો પાસે છે. ડો.બાબા સાહેબ તથા બંધારણ સમીતીને આ પ્રસંગે યાદ કરી વંદનભાવ પ્રગટ કરેલ.

(12:09 pm IST)