Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

કચ્છમાં કોરોનાનો કહેર યથાવત :આજે વધુ ૧૨ કેસ સાથે કુલ આંકડો 475; જુલાઈના ૨૭ દિ'માં 311 કેસ સાથે સંક્રમણનો વિસ્ફોટ

ભુજ : કચ્છમાં આજે વધુ ૧૨ કેસ સાથે કોરોનાનો ખોફ બરકરાર રહ્યો છે. નવા કેસોમાં ટ્રાવેલ હિસ્ટ્રીના કેસ ઓછા છે, જ્યારે સ્થાનિક સંપર્કના સંક્રમણના કારણે કોરોનાના કેસનો વિસ્ફોટ થયો છે અને આ જુલાઈ મહિનાના ૨૭ દિવસમાં જ પોઝિટિવ કેસનો આંકડો ૩૧૧ નો થઈ ગયો છે. કુલ કેસ ૪૭૫ (પાંચસોની નજીક) પહોંચી ગયા છે. કચ્છની અત્યાર સુધીની આંકડાકીય માહિતી એક્ટિવ કેસ ૧૭૭, કોરોનાને હરાવીને સાજા થનાર દર્દીઓનું પ્રમાણ પણ વધ્યું છે. સાજા થયેલા કેસ ૨૭૪ થયા છે.  જ્યારે મૃત્યુ આંક ૨૪ છે, કોરોનાના કુલ કેસ ૪૭૫ નોંધાયા છે.
કચ્છમાં તંત્રના આંકડા અને સરકારના ડેશ બોર્ડના આંકડા વચ્ચે ફરક છે. તો કચ્છના તમામ મીડીયામાં કોરોનાના દર્દીઓની સરકારી યાદી અનુસાર મૃત્યુ આંક ૨૪ દર્શાવાયો છે, પણ હવે તંત્રની યાદીમાં મૃત્યુ આંક ૨૧ દર્શાવાતાં ખુદ તંત્રની જ અપાયેલી માહિતીની યાદી સામે સવાલ ખડો થયો છે. બિમાર દર્દીઓ સાજા થાય એટલે બિમાર દર્દીઓનો આંકડો ઘટી શકે, પણ મૃત્યુ આંક કેમ ઘટે?

(8:45 pm IST)