Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

સરકાર આવશે અને જશે, સમાજ કાયમ રહેશે જેથી રાષ્ટ્ર માટે જીવો : પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજી

મોરબીમાં રાષ્ટ્રીય પ્રખર વક્તાઍ સભા સંબોધી : ગુજરાતમાં પણ યુપી સાથે ચૂંટણી આવી શકે તેવી આગાહી કરી

 (પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૨૯ : સરકારથી તમે નથી તમારાથી સરકાર છે, સરકારો આવશે અને જશે પરંતુ સમાજ અને નાગરિકો કાયમ રહેશે જેથી રાષ્ટ્ર માટે જીવો અને નજીવા સ્વાર્થને ભૂલી જઈને રાષ્ટ્ર માટે વિચારો તેમ મોરબી પધારેલા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજીએ જણાવ્યું હતું.

મોરબી ખાતે રાષ્ટ્રવાદી પ્રખર સંગઠન અને જય અંબે સેવા ગ્રુપ મોરબી દ્વારા પ્રખર રાષ્ટ્રવાદી વકતા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રના આંતરિક પડકારો અને આપણી ભૂમિકા વિષય પર પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજીએ સભાને સંબોધી હતી પ્રખર રાષ્ટ્રવાદી વકતાને સાંભળવા શહેરના સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જે કાર્યક્રમમાં કાજલબેન હિન્દુસ્તાનીએ પોતાની આગવી શૈલીમાં વિવિધ મુદાઓ રજુ કરી ઉપસ્થિત શ્રોતાઓને વિચારતા કરી મુકયા હતા તો પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજીનું સ્વાગત કરતા જય શ્રી રામના નારાઓ અને ભારત માતાકી જયના નારા ગુંજયા હતા.

પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજીએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે દેશ અનેક આંતરિક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો છે એક સમાજ જયારે એકજુટતાથી પોતાના એજન્ડાને આગળ ધપાવી રહ્યો છે ત્યારે મુર્ખ સમાજ ડુંગળી અને પેટ્રોલના ભાવને લઈને રોવે છે ડુંગળીના ભાવવધારાને લઈને સરકાર બદલી નાખનાર સમાજને શરમ આવવી જોઈએ. દેશની કથિત આઝાદીથી લઈને આઝાદીના આટલા વર્ષો સુધી અગાઉની સરકારોએ જે પાપ કર્યા છે તે પણ લોકોને સરળ ભાષામાં સમજાવી વિચારતા કરી મુકયા હતા કાર્યક્રમના આયોજક જય અંબે સેવા ગ્રુપના જીજ્ઞેશભાઈ કૈલા અને તેની ટીમ ઉપસ્થિત રહી હતી તો પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજીનું વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકારના આખા મંત્રીમંડળને બદલવાની ઘટના સામાન્ય નથી તેને સમજવા માટે પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજીએ ઈશારો કર્યો હતો તેમજ તેઓએ યુપી સાથે જ એટલે કે ગુજરાતમાં ડીસેમ્બર માસમાં નહિ પરંતુ વહેલી ચુંટણી યોજાઈ સકે છે તેવું અનુમાન કર્યું હતું તો બાદમાં તેનું પોલીટીકલ પ્રીડીકશન છે જે ખોટું પણ પડી સકે તેમ જણાવ્યું હતું.

(11:56 am IST)