Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

વાંઢાયમાં કચ્‍છ કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાના મંદિરને 75 વર્ષ પૂર્ણ થતા ધામધૂમપૂર્વક અમૃત મહોત્‍સવનું આયોજન

બે કિલોમીટર લાંબી શોભાયાત્રામાં 75 ફુટની ધજા સાથે મોટી સંખ્‍યામાં જોડતા ભક્‍તો

ભુજઃ કચ્છમાં પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમાન મા ઉમિયાના સૌ પ્રથમ મંદિરને 75 વર્ષ પૂર્ણ થવા અમૃત મહોત્સવ ઉજવવામાં આવ્યો. અશ્વો અને હાથી સાથે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સંસ્કારધામથી બે કિલોમીટર લાંબી શોભાયાત્રામાં 75 ફૂટની ધજા સાથે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.. મહોત્સવ દરમિયાન વાંઢાયની ધરા પર પ્રથમ વખત સહસ્ત્રચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. જેમાં યુવાનોને ધર્મ પ્રત્ય જાગૃત કરવા માટે ધર્મ જાગરણ સમારોહ, સંતસભા સમાજ જાગરણ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું. જેમાં અગ્રણીઓ અને સંતોએ યુવાનોને વ્યસન મુક્તિ, ફેશનનો ત્યાગ, શાસ્ત્ર અને શસ્ત્રોનું જ્ઞાન મેળવવા સૂચન કર્યું હતું. 30 માર્ચ સુધી ચાલનાર આ મહોત્સવમાં મોટી સંખ્યમાં કચ્છ સહિત રાજ્યભરમાંથી ભક્તો આવશે.

સંતોની તપોભૂમિ વાંઢાયમાં વિક્રમ સંવત 2000માં કુળદેવી મા ઉમિયાને બિરાજમાન કરવામાં આવ્યા. સંતોની પ્રેરણાથી અને કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના પુરુષાર્થથી કચ્છમાં સાકારિત થયેલ મા ઉમિયાનું આ સૌ પ્રથમ મંદિર છે, જે આજે જ્ઞાતિજનોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. દર વર્ષે હજારો યાત્રાળુઓમાં ઉમિયાના દર્શન કરી ધન્ય બને છે. મા ઉમિયાના મંદિરને 75 વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યું છે.

ઉમિયા માતાજી મંદિરને 75 વર્ષ પૂર્ણ થતાં સવારે અશ્વો-હાથી સહિતની વિશાળ શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી. સંસ્કારધામથી નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. લગભગ બે કિ.મી. લાંબી આ રવાડીમાં ખેડોઈ વિસ્તારના ઉમિયા ભક્તો 75 ફૂટની ધજા સાથે જોડાયા હતા. આ મહોત્સવ દરમિયાન વાંઢાયની ધરા પર પ્રથમ વખત સહસ્ત્રચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સહસ્ત્રચંડી યજ્ઞની દેહશુદ્ધિ સાથે યજ્ઞશાળાને ખુલ્લી મુકાઈ હતી. મંત્રોચ્ચાર અને આહુતિઓથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠયું હતું.

પાટીદાર સમાજના યુવાનોને ધર્મ પ્રત્યે જાગૃત બનાવવા ધર્મ જાગરણ સમારોહ, સંતસભા સમાજ જાગરણ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમાજના અગ્રણીઓ અને સંતો દ્વારા યુવાનોને વ્યસન અને ફેશનનો ત્યાગ કરી શાસ્ત્ર અને શસ્ત્રોનું જ્ઞાન મેળવવા અનુરોધ કર્યો હતો.સંતોએ પાટીદાર સમાજના યુવાનોને જણાવ્યું હતું કે ઉમિયા માતા સનાતન ધર્મની જનની છે અને જો માતાજી પ્રત્યે સાચી આસ્થા હશે તો માતાજી હાજરા હજુર છે. ઉલ્લેખનીય છે કે, 30મી સુધી ચાલનારા આ અમૃત મહોત્સવ સંદર્ભે કચ્છ ઉપરાંત કચ્છ બહારથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવ્યા છે.

આ અમૃત મહોત્સવમાં કેન્દ્રીય કૃષિમંત્રી પરસોત્તમ રૂપાલા અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીં આવીને પ્રેરક પ્રવચન આપવાના હતા. પરંતુ રાજકીય કાર્યોમાં વ્યસ્ત હોવાથી પહોંચી શક્યા ન હતા અને શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતાં. આ મહોત્સવમાં ભુજ મતવિસ્તારના ધારાસભ્ય અને કચ્છ કડવા પાટીદાર સમાજના અગ્રણી કેશુભાઈ પટેલ, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા, કચ્છ કડવા પાટીદાર સમાજના હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કેશુભાઈ પટેલે પોતાના પ્રવચનમાં ઉમિયા માતાજી મંદિરને યાત્રાધામમાં સમાવિષ્ટ કરવા પ્રયત્ન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.ઉપરાંત સમજદારી, ઈમાનદારી,નિષ્ઠા, પૂર્વજોના સંસ્કાર તેમજ સમાજને સાથે રાખીને આગળ ચાલવા માટે તેમના દ્વારા યુવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

ઊંઝા શ્રી ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખ બાબુભાઈ પટેલે જણાવ્યું કે, કડવા પાટીદાર સમાજના પ્રમુખ તરીકે પહેલું ગૌરવ તો એ છે કે અમારો સમાજ કડવો પાટીદાર સમાજ દેશ અને દુનિયાના તમામ પાટીદારોની એક જ કુળદેવી છે કોઈ સમાજની એક કુળદેવી હોય ને તો એ કડવા પાટીદાર સમાજની માં ઉમિયા છે. કચ્છમાં માં ઉમિયાના આંગણે ખૂબ લોકો આવી રહ્યા છે. જ્ઞાતિ ગંગા એ જ કે સમાજ એક રહે મેક રહે. સમાજનો વિકાસ થાય અને સંગઠન બની રહે. વિકાસ થાય એટલે સમાજના દીકરા-દીકરીઓને સારું શિક્ષણ મળે. આજનું જીવન શિક્ષણ વગર અધૂરું છે.

સંસ્થાનના પ્રમુખ હંસરાજભાઈ ધોળુંએ જણાવ્યું હતું કે, ઉમિયા માતાજીનો અમૃત મહોત્સવ આજથી શરૂ થયો છે.સવારે યજ્ઞશાળામાં યજ્ઞ શરૂ કરાવી ત્યાર પછી. વિરાટ ધર્મયાત્રા નીકાળવામાં આવી હતી.યાત્રામાં લગભગ 20 થી 25 હજાર જેટલી જંગી મેદની હતી. અનેક પ્રકારની કૃતિઓ ગામેગામથી ધર્મ અને સંસ્કૃતિને બતાવતી આખી ઝાંખીઓ સાથેની શોભા યાત્રા લગભગ 9 થી 12 ત્રણ કલાક સુધી ચાલી. માં ઉમિયાની સ્થાપનાને 75 વર્ષથી પણ વધુ સમય થયો એટલે સામન્ય રીતે 25 વર્ષ, 50 વર્ષ કે 75 વર્ષ ઉજવી જેથી કરીને દર 25 વર્ષે સમાજની પેઢી બદલતી હોય એટલે 50 વર્ષના કાર્યક્રમ પછી આવો મોટો કાર્યક્રમ યોજવામાં આવે તો જે નવી પેઢી આવી છે એને ધર્મ અને સંસ્કૃતિના સંસ્કાર મળે અને કુળદેવી શું હોય એનું માર્ગદર્શન મળે, ધર્મમય પ્રજા બને એ હેતુથી અમૃત મહોત્સવ ઉજવવાનો નક્કી કરવામાં આવ્યું છે.

સંસ્થાનના મહામંત્રી બાબુભાઈ ચોપડાએ જણાવ્યું હતું કે,પાટીદાર સમાજના વડીલોએ જે તે સમયે ઊંજાથી ઉમિયા માતાની જ્યોત લઈને વાંઢાયમાં સ્થાપિત કરી એને 75 વર્ષ થયા તેના સંદર્ભમાં આ 75 વર્ષો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. જેની પૂર્ણાહુતિ 30મી તારીખે હોમ નારિયેળ હોમીને સામાજિક સભામાં 18 જ્ઞાતિના વર્ણના વડીલો સાથે કરવામાં આવશે

(5:58 pm IST)