Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ભાણવડના નવાગામમાં યુવકની હત્યા કરનાર ચારેય શખ્સો સકંજામાં

અઠવાડિયા પૂર્વે મૃતક હરેશ જાવિયાએ આરોપી ચના સગરના પુત્ર સાથે માથાકુટ થતા પગ ભાંગી નાખ્યો હતો : જૂની અદાવતનો ખાર રાખી ચાર શખ્સોએ લાકડી વડે માર મારી ઢીમ ઢાળી દીધુ'તું

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૩૧ : ભાણવડ તાલુકાના નવાગામમાં ગઈકાલે થયેલી પટેલ યુવકની હત્યામાં સંડોવાયેલા ચારેય શખ્સોને પોલીસે દબોચી લીધા છે. જૂની અદાવતનો ખાર રાખી યુવકને લાકડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

મળતી માહિતી મુજબ ભાણવડ તાલુકાના નવાગામ ખાતે રહેતા અને ખેતીકામ કરતા હરેશભાઈ ગોરધનભાઈ જાવીયા (ઉ.વ. ૩૯) નામના પટેલ યુવક શનિવારે રાત્રીના આશરે સાડા બારેક વાગ્યે પોતાની વાડીએ આવેલા મકાનમાં સુતા હતા ત્યારે ચાર બુકાનીધારીઓએ લાકડી જેવા હથિયારો વડે હુમલો કરતા વાડીમાં ભાગીયા તરીકે કામ કરતા રાધુભાઈ શંભુભાઈ જાગી જતા તેમાંથી એક શખસે તેના ગળા પર લાકડી દબાવી મારી નાખવાની ધમકી આપી હતી અને બાકીના ત્રણ શખ્સોએ હરેશભાઇ ઉપર લાકડીઓ વડે તૂટી પડ્યા હતા હુમલો કરી ચારેય શખસો નાશી જતા હરેશભાઈને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેમનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો બનાવની જાણ થતા ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી તથા ભાણવડ પીએસઆઈ.એન.એચ. જોશી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી.

આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ મહેશભાઈ ગોરધનભાઈ જાવીયા ની ફરિયાદ પરથી પોલીસે ચાર અજાણ્યા શખ્સો સામે આઈ.પી.સી. કલમ ૩૦૨, ૧૨૦(બી), ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી. એકટ મુજબ ગુનો નોંધ્યો હતો પોલીસે મૃતકના પરિવારજનોની પુછપરછ બાદ શંકાસ્પદ લાગતા ચારેકે શખ્સોને ઉઠાવી લઇ આકરી પુછપરછ હાથ ધરી હતી. જેમાં આરોપી ચના સગરના પુત્રને મૃતક સાથે અઠવાડિયા પહેલા માથાકૂટ થયેલી હતી જેનો ખાર રાખી ચના સાગા, એક મહેર તેમજ સંધિ સહિતના ચાર શખસોએ હુમલો કરી યુવકનું ઢીમ ઢાળી દીધું હતું. પોલીસે ચારેય આરોપીની અટકાયત કરી કોવીડ ટેસ્ટ બાદ ધરપકડની તજવીજ હાથ ધરી છે.

(1:19 pm IST)