Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ભારત વિ. ન્યૂઝીલેન્ડ : ટેસ્ટ શ્રેણીમાં નહીં રમે રોહિત શર્મા

પ્રથમ ટેસ્ટમાં અજિંક્ય રહાણે કેપ્ટન : વર્કલોડને ધ્યાનમાં રાખતા રોહિત શર્માને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં આરામ આપવામાં આવશે

નવી દિલ્હી, તા.૧૧ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી બે ટેસ્ટ મેચની સીરિઝની પ્રથમ ટેસ્ટ માટે અજિંક્ય રહાણેને ભારતીય ક્રિકેટ ટીમનો સુકાની બનાવવામાં આવશે. પસંદગીકારોએ વિરાટ કોહલીને કાનપુરમાં રમાનારી પ્રથમ ટેસ્ટ મેચ માટે આરામ આપ્યો છે. ગુરવારે નિર્ણય લેવાયો હતો કે ટી૨૦ ટીમના સુકાની રોહિત શર્માને ટેસ્ટ સીરિઝ માટે આરામ આપવામાં આવશે.

ગુરૃવારે પસંદગીકારોએ નિર્ણય લીધો છે. અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ પહેલા અહેવાલ આપી દીધો હતો કે ચાર નિયમિત ટેસ્ટ ખેલાડી ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી, વિકેટકીપર બેટ્સમેન રિશભ પંત તથા શાર્દૂલ ઠાકુરને ટેસ્ટ સીરિઝમાં રમાડવામાં આવશે નહીં.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોહલીએ પ્રથમ ટેસ્ટ માટે આરામની માંગણી કર્યા બાદ કાર્યકારી સુકાની માટે ઘણી લાંબી ચર્ચા કરવામાં આવી હતી. રોહિત શર્માને પ્રથમ ટેસ્ટમાં સુકાની બનાવવામાં આવે અને મુંબઈ ખાતે રમાનારી બીજી ટેસ્ટમાં તેને આરામ આપવામાં આવે તેવો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હતો. જોકે, રોહિત શર્માના વર્કલોડનું એનાલિસિસ કર્યા બાદ તે નિર્ણય લેવામાં આવ્યો કે ટી૨૦ના નવા સુકાની રોહિત શર્માને આરામ આપવામાં આવે. છેલ્લા ઘણા સમયથી રહાણેનું ફોર્મ ઘણનું નબળું રહ્યું છે તેમ છતાં પસંદગીકારો કોહલી અને રોહિતની ગેરહાજરીમાં અનુભવી સુકાનીને જવાબદારી સોંપવા ઈચ્છતા હતા કેમ કે પસંદગીકારો ટેસ્ટ ટીમમાં ધરખમ ફેરફારો કરે તેવી શક્યતા છે.

ઈન ફોર્મ લોકેશ રાહુલ સાથે ઓપનિંગમાં શુભમન ગિલ અને મયંક અગ્રવાલ વિકલ્પ છે. જ્યારે રિદ્ધિમાન સહા વિકેટકીપર રહે તેવી પૂરી સંભાવના છે. મિડલ ઓર્ડરની જવાબદારી અજિંક્ય રહાણે અને હનુમા વિહારી પર રહેશે જેણે જાન્યુઆરીમાં સિડની ખાતે પોતાની અંતિમ ટેસ્ટ રમી હતી.

નોંધનીય છે કે ટી૨૦ વર્લ્ડ કપ બાદ કોહલીએ ટી૨૦ ટીમનું સુકાની પદ છોડી દીધું છે અને તેના સ્થાને રોહિત શર્માને સુકાની બનાવવામાં આવ્યો છે. કોહલી હવે વન-ડે અને ટેસ્ટ ટીમનો સુકાની રહેશે. ટેસ્ટમાં અજિંક્ય રહાણે ઉપસુકાની છે જ્યારે ટી૨૦ ટીમમાં ઉપસુકાની પદની જવાબદારી લોકેશ રાહુલને સોંપવામાં આવી છે.

(10:03 pm IST)