Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

ટીમ ઇન્ડિયાના સ્પિનર યૂઝવેન્દ્ર ચહલ લગ્નગ્રંથીએ જોડાયો : મંગેતર ધનશ્રી સાથે સાત ફેરા લીધા

બંનેએ પોત-પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક જ કેપ્શન સાથે પોતાના લગ્નની ઘોષણા કરી

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે મંગેતર ધનશ્રી સાથે સાત ફેરા લઇ લીધા છે. ક્રિકેટર ચહલ અને ધનશ્રી વર્માએ બંનેએ પોતપોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લગ્નની ઘોષણા કરી હતી. થોડા મહિના પહેલા બંને વચ્ચેના સંબંધોનો ખુલાસો થયો હતો અને દંપતી સોશિયલ મીડિયા પર સૌથી લોકપ્રિય કપલમાંના એક છે.

 આ દંપતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના લગ્નના દિવસની તસવીર સાથે વૈવાહિક જીવનની શરૂઆતનો ખુલાસો કર્યો. યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી બંનેએ પોત-પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક જ કેપ્શન સાથે પોતાના લગ્નની ઘોષણા કરી છે

આ વર્ષે આઈપીએલ માટે દુબઈ રવાના થતા પહેલા યુઝવેન્દ્ર ચહલે ધનશ્રી સાથે સગાઈ કરી હતી. આઈપીએલ દરમિયાન દુબઈ સિવાય પણ કેટલીક અન્ય જગ્યાઓ પર અનેક વખતે બંને સાથે જોવા મળ્યા હતા. ઓગસ્ટમાં અનુભવી લેગ સ્પિનરે તેના રોકા સમારંભની એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તેમણે સગાઈ કરી હતી, અને પોતાના પરિવાર સાથે ‘હાં’ કહ્યું હતુ.

કોરોના વાઇરસ મહામારી વચ્ચે યુઝવેન્દ્ર ચહલ કેટલાક ઝુમ વર્કશોપમાં ઇન્સ્ટાગ્રામ આઈકોન ધનશ્રી વર્મા સાથે દેખાયો હતો. ધનશ્રીના ઇન્સ્ટાગ્રામ બાયો મુજબ, તે ડોક્ટર, કોરિયોગ્રાફર, યૂટ્યૂબર અને ધનશ્રી વર્મા કંપનીની સંસ્થાપક છે અને તેના 25 લાખ ફોલોવર્સ છે.

(11:43 pm IST)