Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

વિરાટ અને રોહિતના સબંધ સુધારવામાં શાસ્ત્રીની ભૂમિકા

કોરોના કાળે ટીમના બે ખેલાડીઓનો મનમેળ વધ્યો : બન્ને સ્ટાર ખેલાડીના સબંધોને લઈ મીડિયામાં ઘણી અફવા ચાલતી હતી, હવે બન્નેના સબંધો મજબૂત થયાની વાત ખુલી

મુંબઈ, તા. ૩૦ : કોરોના વાયરસ મહામારીના સમયમાં ભારતીય ક્રિકેટર્સ માટે મહિનાઓ સુધી બાયો બબલમાં રહેવું સરળ નહોતું. જોકે, આ સખત કોવોરન્ટિન નિયમોમાંથી કંઈક સકારાત્મક બહાર આવ્યું અને તે ભારતીય ક્રિકેટના બે સૌથી મોટા ખેલાડીઓ, રોહિત શર્મા અને વિરાટ કોહલીની નવી 'ફ્રેન્ડશીપ' છે.

ઈંગ્લેન્ડ સીરિઝ દરમિયાન ભારતીય ટીમના સૌથી સિનિયર ખેલાડી કોહલી અને રોહિત વચ્ચે ટીમ મેનેજમેન્ટ અને કોચ રવિ શાસ્ત્રીને સમય મળ્યો જેમાં તેમણે બેસીને વાત કરીને બધું સમાધાન લાવી દીધું. બન્ને ખેલાડીઓના સંબંધોને લઈને પાછલા કેટલાક સમયથી મીડિયામાં ઘણી અટકળો લગાવવામાં આવી રહી હતી. હવે ખબર એવી સામે આવી છે કે તેમણે પોતાના સંબંધનો લઈને નવી શરુઆત કરવાનો નિર્ણય લીધો છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં બે મોટી સીરિઝ જીતવાની ખુશી તો હતી જ. જોકે, વધુ એક સારા સમાચાર પણ સામે આવ્યા. આ બન્ને (રોહિત-વિરાટ) વચ્ચેના સંબંધો મજબૂત થયા છે. તેઓ પોતાની ક્રિકેટ, ટીમ અને આવનારા પડકારો સામે લડાવા મામલે એકસૂરમાં જોવા મળ્યા છે. તેમને હવે એ સારી રીતે સમજાઈ ગયું છે કે તેઓ એક જેવું વિચારશે તો તેનાથી ટીમને ફાયદો થશે. પાછલા ૪ મહિનાઓમાં આ સૌથી મોટી સફળતા છે.

સાથે ઈનિંગ શરુ કરવાથી લઈને મેદાન પર એક બીજાના નિર્ણયનું સન્માન કરતા પણ તેઓ દેખાયા, વિરાટ અને રોહિત હવે એક બીજાને વધારે સારી રીતે ઓળખવા લાગ્યા છે. બાયો બબલમાં રહેવાનો અર્થ એ છે કે તમારી પાસે ઘણો સમય છે અને તેનો ફાયદો થયો છે.

સૂત્રોએ આગળ જણાવ્યું કે, બહાર થનારી વાતો તેમની વચ્ચે કડવાશ વધારી રહી હતી અને આમ-તેમની વાતો વધારે કડવાશ ભરતી હતી. આ ભારતીય ક્રિકેટમાં ઘણાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યા છે. તમામ પ્રોફેશનલની જેમ વિરાટ અને રોહિત વચ્ચે પણ અસહમતિ હશે. પરંતુ હાલના સમય પહેલા તેમણે ક્યારેય આ રીતે સાથે બેસીને તેને સ્પષ્ટ રીતે દૂર કરવા અંગે નહોતું વિચાર્યું. આ બાબતને નજીકથી જોનારાઓએ એ વાત તરફ પણ ધ્યાન આપ્યું કે કઈ રીતે મોટા ક્રિકેટર્સે એ પ્રયાસ કર્યો કે ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહેલી અફવાઓ બંધ થવી જોઈએ. હવે તેઓ જાહેરમાં એક બીજા સાથે ઘણી વાત કરી રહ્યા છે, જે રીતે ટી૨૦ સીરિઝ પૂર્ણ થયા બાદ પ્રેઝન્ટેશન દરમિયાન. તેઓ પહેલા કરતા વધારે ફોટોમાં સાથે જોવા મળી રહ્યા છે. વનડે સીરિઝ દરમિયાન કોહલી અને રોહિત શર્માએ સાથે ઘણી વાત કરતા જોવા મળ્યા. આવું પહેલા પણ થયું હશે પરંતુ આ વખતે તેમણે તેને વધારે પબ્લિક સામે રજૂ કર્યું જેથી બહારના લોકોને ખ્યાલ આવે કે હવે આ બધાનો અંત આવવો જોઈએ.

(7:27 pm IST)