Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

અમદાવાદથી ટૂંકમાં જ શરૃ થશે ઉદેપુર ઈન્ટરસિટી ટ્રેન

ફરવાના શોખીન ગુજરાતીઓ માટે સારા સમાચાર : આ ટ્રેન શરુ થવાથી લાખો પર્યટકો અને મુસાફરોને રાહત

ગાંધીનગર, તા.૬ : ગુજરાતીઓને જો ૩ દિવસની સળંગ રજા મળી જાય તો રાજસ્થાન ફરવા ઉપડી જતા હોય છે. અનેક ઐતિહાસિક સ્થળો તેમજ મનમોહક હવામાનને કારણે મોટી સંખ્યામાં લોકો ઉદયપુર જવાનું પસંદ કરતા હોય છે. હવે આ શોખીન ગુજરાતીઓ અને ખાસ કરીને અમદાવાદીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલવે દ્વારા અમદાવાદથી ઉદયપુર જતી બ્રોડગેજ ટ્રેન સેવા શરૃ કરવાની તૈયારી કરી છે. આ ટ્રેન શરુ થવાથી લાખો પર્યટકો અને મુસાફરોને રાહત થઈ જશે.

ઉલ્લેખનીય છે કે તારીખ આઠ અને નવ જુલાઈના રોજ અજમેર ડિવિઝનમાં સ્થિત જયસમંદ રોડથી ખર્વચાંદા વચ્ચે તૈયાર કરવામાં આવેલી ૩૨ કિમી લાંબી બ્રોડગેજ રેલવે લાઈન પર સીઆરએસ (કમિશનર ઓફ રેલવે સેફ્ટી બોર્ડ)ની ટીમ અહેવાલ મોકલશે. નોંધનીય છે કે મુસાફરો વિનાની આ ટ્રેન ટ્રેકનો અહેવાલ તૈયાર કરશેઅને સેફ્ટી બોર્ડને રિપોર્ટ આપશે. જો પરવાનગી આપવામાં આવશે તો ઓગસ્ટ મહિનટ્ઠામાં આ ટ્રેન શરુ કરી દેવામાં આવશે.

ભારતીય રેલવેના અજમેર ડિવિઝનના પીઆરઓ અશોક ચૌહાણ આ બાબતે જણાવે છે કે, છ વર્ષ પહેલા અમદાવાદથી ઉદયપુર જતી ટ્રેનને ૨૯૯ કિમીનું અંતર કાપવામાં દસ કલાકનો સમય લાગતો હતો. પણ જો તમે રોડમાર્ગે ઉદયપુર જવા નીકળો તો પાંચ અથવા છ કલાકમાં પહોંચી શકો છો. આ કારણોસર મોટી સંખ્યામાં લોકો ટ્રેન રુટ પસંદ નથી કરતા. પરંતુ લાંબો સમય રાહ જોયા પછી રેલવે દ્વારા બ્રોડગેજ રેલવે લાઈન માટે ૧૬૫૦ કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે આ ટ્રેન સેવા શરુ થયા પછી મોટી સંખ્યામાં ઉદયપુર તરફ જતા મુસાફરો અને પર્યટકોને લાભ મળશે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના નોકરિયાત તેમજ વેપારી વર્ગને ઘણો ફાયદો થશે. ઉદયપુર જતી આ ટ્રેન વાયા હિંમતનગર-ડુંગરપુર થઈને પસાર થશે. આ કામગીરી તબક્કાવાર કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં અમદાવાદના અસારવાથી હિંમતનગર સુધી બ્રોડગેજ લાઈન પર સેવા શરુ કરવામાં આવી હતી. દ્વિતિય તબક્કામાં અમદાવાદથી વાયા હિંમતનગર થઈ ડુંગરપુર સુધીની ટ્રેન શરુ કરવામાં આવી છે. હવે જયસમંદ અને ખર્વચાંદા વચ્ચેના ટ્રેકનું સીઆરએસ થયા પછી ડુંગરપુર સુધી દોડતી આ ટ્રેન ઉદયપુર સુધી લંબાવવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ઉદયપુરને ભારતના વેનિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં લેક પિચોલા અને હુસૈન સાગર લેક નામના બે મોટા તળાવ આવેલા છે.

સમગ્ર શહેર લગભગ આ તળાવોની આસપાસ વસેલું છે. આ સિવાય સિટી પેલેસ, સજ્જનગઢ મોનસૂન પેલેસ, સહેલિયોં કી બારી, જગમંદિર જેવા લોકપ્રિય સ્થળો છે. અહીંનું વાતાવરણ પર્યટકોને આકર્ષિત કરતું હોય છે. લેક પિચોલામાં સૂર્યાસ્તની મજા માણવાનો આનંદ અનેરો હોય છે.

 

(8:03 pm IST)