Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

વડોદરા નજીકના હરીધામ સોખડા મંદિરમાં સેવકને માર મારવાનો વિવાદ વધુ પેચીદો બન્‍યોઃ પીડિત યુવક અને તેનો પરિવાર અરજી આપ્‍યા બાદ અજ્ઞાત સ્‍થળે જતો રહ્યો

પોલીસે મંદિરમાં તપાસ કરીને કેટલાક લોકોના નિવેદનો લીધા

Photo: 01

વડોદરા: હરિધામ સોખડા મંદિરમા સેવકને માર મારવાનો વિવાદ વધુ પેચીદો બની રહ્યો છે. પીડિત યુવક અને તેનુ પરિવાર અરજી આપ્યા બાદ અજ્ઞાત સ્થળે ચાલ્યો ગયો છે. ભયના કારણે પરિવારને અજ્ઞાત સ્થળે જવાની ફરજ પડી છે, ત્યારે મંદિરમા ચાલતી સત્તા માટેની જુથબંધી સપાટી પર આવી છે.

હરિધામ સોખડા મંદિરમા હરિપ્રસાદ સ્વામીના અક્ષરનિવાસી થયા પછી મંદિરની ગાદી માટે પ્રેમસ્વરૂપ અને પ્રબોધ સ્વામીના બે જુથ પડી ગયા છે. પ્રબોધ સ્વામીને માનતા અનુજ ચૌહાણ પર પ્રેમસ્વરૂપ સ્વામીના સંતોએ હુમલો કરી માર માર્યો હતો. હુમલાનો વીડિયો બહાર આવતા જ અનુજ ચૌહાણને તેના પિતા ઘરે લઈ આવ્યા હતા અને તાલુકા પોલીસમા અરજી આપી હતી. આ બાદ આખો પરિવાર ઘરને તાળુ મારી ગાયબ થયો હતો. પરિવાર અજ્ઞાત સ્થળે ચાલ્યો ગયો છે. જોકે આજે અનુજ અને તેના પિતા વિરેન્દ્ર ચૌહાણે મીડિયા સમક્ષ એક વીડિયો શેર કરીને આક્ષેપ કર્યો હતો કે, પરિવાર પર દબાણ લાવવામાં આવી રહ્યુ છે અને અનુજ દ્વારા વીડિયો ઉતારવાની વાત ઉપજાવી કાઢી છે. આખો પરિવાર ભયના ઓથાર નીચે જીવી રહ્યો છે.

પાંચ દિવસથી અનુજ અને તેનૉ પરિવાર અજ્ઞાતસ્થળે ચાલ્યો ગયો છે, ત્યારે સ્વભાવિક છે કે સીધો જ આક્ષેપ મંદિર સંચાલકો અને સંતો ઉપર થઈ રહ્યો છે. પરિવાર પર દબાણ લાવવામાં આવી રહ્યુ છે. જોકે આ બાબતે મંદિરના પ્રવક્તા ત્યાગ વલ્લભ સ્વામીએ મીડિયા સામે કહ્યું કે, અમે પોલીસ તપાસમા સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છીએ અને પરિવાર નિઃસંકોચપણે પોલિસ સમક્ષ કે મંદિર સમક્ષ આવે. સાથે બેસીને યોગ્ય ઉકેલ લાવીશું.

પાંચ દિવસથી અનુજનો પરિવાર અજ્ઞાત સ્થળે ચાલ્યો જતા પોલિસ માટે પણ મુશ્કેલી રૂપ બન્યુ છે. પોલીસે મંદિરમા તપાસ કરી કેટલાક લોકોના નિવદનો પણ લીધા છે અને કોગ્નેઝીબલ ગુનો બનતો હોવાનુ તપાસમા બહાર આવ્યુ છે. જોકે પરિવાર નિવેદન લખાવવા ના આવે ત્યા સુધી એફઆઈઆર થઈ શકે તેમ નથી. જિલ્લા પોલિસ વડાએ પરિવારને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી છે અને ભય વગર પરિવાર પોલીસ સમક્ષ આવે અને નિવેદન નોંધાવે તેવી અપીલ કરી છે. જો પરિવારને જરૂર લાગશે તો પોલિસ રક્ષણ આપવાની પણ જિલ્લા પોલિસ વડાએ વાત કરી છે.

એક અઠવાડિયાથી આ ઘટનાનો વીડિયો વાયરલ થયો ત્યારથી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. કોઈ સંતો કેવી રીતે આમ હુમલો કરી શકે. જોકે પીડિત પરીવાર મંદિરના સંતો અને તેમના અનુયાયીઓ પર શંકા વ્યક્ત કરી રહ્યું છે. સમગ્ર આખા મામલામા પોલીસ તપાસ કરીને શુ કાર્યવાહી કરે છે તેની તરફ સોની નજર મંડાઈ છે.

(4:57 pm IST)