Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

નવસારી જીલ્લાના ગણદેવીના ખેરગામમાં જંગલી ભુંડના હૂમલાથી ઍક વૃદ્ધ મહિલાનું મૃત્યુઃ વન વિભાગ સામે લોકોનો રોષ

જંગલી ભુંડના કારણે માનવ મૃત્યુની જીલ્લામાં પ્રથમ ઘટના

નવસારીઃ ગણદેવીના ખેરગામમાં જંગલી ભુંડના હૂમલાથી ઍક વૃદ્ધાનું મૃત્યુ થતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ભુંડની સંખ્યામાં વધારો થતા ભુંડનું ઝુંડ ખેતીમાં ખુબ જ નુકશાન કરે છે. ભુંડના હૂમલાથી માનવ મૃત્યુની આ પ્રથમ ઘટના છે.

જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં ગત થોડા મહિનાઓમાં ખેતરો અને વાડીઓમાં જંગલી ભૂંડના હુમલાની ફરિયાદો વધી છે. જેમાં ગત રોજ ગણદેવીના ખેરગામ ગામે જંગલી ભૂંડના હુમલાથી એક વૃદ્ધાએ જીવ ગુમાવ્યો છે. જંગલી ભૂંડને કારણે માનવ મૃત્યુની જિલ્લાની આ પ્રથમ ઘટના છે. નવસારી જિલ્લામાં જંગલી ભૂંડની સંખ્યા વધારો થયો હોવાની ફરિયાદો વધી છે. ખાસ કરીને પૂર્વ પટ્ટીના ગામડાઓમાં જંગલી ભૂંડના ઝુંડ ખેતીમાં મોટુ નુકશાન કરતા થયા છે.

ખેડૂતો વારંવાર વન વિભાગને ભૂંડનો ત્રાસ ઓછો કરવા છતાં આજદિન સુધી કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી. ગણદેવીના ખેરગામ ગામે પણ થોડા દિવસોથી જંગલી ભૂંડનો ત્રાસ વધ્યો હતો. જેમાં એક યુવાનને બે દિવસ અગાઉ ઘાયલ પણ કર્યો હતો. દરમિયાન ગત રોજ ખેરગામના પટેલ ફળિયામાં રહેતા 65 વર્ષીય વજયા નાયકા પોતના મોટા દીકરા મહેશ સાથે નજીકની વાડીમાં ઘાસ કાપવા ગયા હતા. જ્યાં મહેશ અને તેના માતા વજયાબેન અલગ અલગ વાડીમાં ઘાસ કાપી રહ્યા હતા. મહેશ દૂધ ભરવાનો સમય થતા ઘરે ગયો હતો, પરંતુ વજયાબેન મોડી સાંજ સુધી ઘરે ન પહોંચતા પરિવારજનો તેમને શોધવા પહોંચ્યા હતા. જ્યાં વજયાબેન વાડીમાં ઘાયલાવસ્થામાં બેભાન અવસ્થામાં પડ્યા હતા.

જેમના પગ હાથ અને શરીરના અન્ય ભાગોમાં જંગલી ભૂંડેના દાતના ઘાવ જણાયા હતા. જેથી તાત્કાલિક તેમને ગણદેવી CHC માં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા. ખેરગામમાં જંગલી ભૂંડના હુમલામાં વૃદ્ધાનું મોત થયુ હોવાની જાણ થતા જ ગણદેવી RFO છાયા પટેલ તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં જંગલી ભૂંડના પગલા તેમજ લોહીથી ખરડાયેલા ચંપલ સહિત ભૂંડ દ્વારા થયેલા હુમલાના પુરાવા મળ્યા હતા. જેથી વન વિભાગે મૃતક વજયાબેનનું પીએમ કરાવ્યુ હતું. સાથે જ જંગલી પ્રાણીના હુમલામાં મોત થવાથી મૃતકના પરિવારને સરકારી સહાય અપાવવાના પ્રયાસો પણ હાથ ધર્યા છે.

નવસારીમાં જંગલી ભૂંડના ત્રાસથી ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. જ્યારે હવે ઝુંડમાં રહેતા જંગલી ભૂંડ માણસો ઉપર પણ હુમલો કરતા થયા છે. જેથી દિપડા સહિતના જંગલી પ્રાણીઓને પાંજરે પુરવાની કામગીરી થાય છે, ત્યારે જંગલી ભૂંડને પકડવાના અથવા એમની વસ્તી ઘટાડી શકાય એવા પ્રયાસો થાય એવી માંગ ઉઠવા પામી છે.

(4:49 pm IST)