Gujarati News

Gujarati News

News of Thursday, 12th May 2022

મોહિની એકાદશીએ મણિનગર તથા કડીમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના મનોરમ્ય કલાત્મક વાઘા - શણગાર...

મોહિની એટલે મોહ પમાડનારી નહીં, પણ મોહમુક્ત કરનારી. રાગ, દ્વેષ અને મોહ જ પાપરૂપી અંધકારના કારણભૂત છે, તેને દૂર કરવાથી જ ધર્મનો પ્રકાશ ફેલાય છે. રાત્રિના પહેલા પ્રહરમાં દરેક જાગે, બીજા પ્રહરમાં ભોગી જાગે, ત્રીજા પ્રહરમાં ચોર જાગે અને ચોથા પ્રહરમાં યોગી જાગે. યોગ અને ભોગ એક જ છે. વ્રતી જ્યારે સાધનાની ચરમસીમા પર પહોંચી જાય છે ત્યારે યોગની સીમા આવી જાય છે, એનું મન મોહથી મુક્ત બની જાય છે. મોહની ક્ષણ પણ ચારિત્ર્યથી જીતી શકાય છે. મોહની ક્ષણ દરેકના જીવનમાં આવે છે. વૈશાખ મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે. 

 

પૌરાણિક કથાઓ મુજબ મોહિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા અમૃત કળશને અસૂરોથી બચાવવા મટે મોહિની અવતાર ધારણ કર્યો હતો. તેથી તેને મોહિની એકાદશી કહે છે. ધાર્મિક માન્યતા મુજબ મોહિની એકાદશીનુ વ્રત કરનાર વ્યક્તિને મોહના બંધનથી દૂર થવા અને મોક્ષ મેળવવામાં મદદ કરે છે. આ વ્રતના પ્રભાવથી વ્યક્તિ બધા પાપોથી મુક્ત થઈ જાય છે. માન્યતા છે કે આ દિવસે વ્રત કથાનો પાઠ કે શ્રવણ કરવાથી એક હજાર ગાયોના દાન બરાબર પુણ્યની પ્રાપ્તિ થાય છે.

 

સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રીમુખવાણી વચનામૃતમાં જણાવાયું છે કે, આ એકાદશી જે કરે છે તે આલોક અને પરલોકમાં સુખી થાય છે. જેમ કોઈ શાહુકારે હુંડી લખી હોય ત્યારે તેમાં રૂપિયા દેખાતા નથી, પણ તેને વટાવામાં આવે છે, ત્યારે રૂપીયાનો ઢગલો થાય છે. તેવી રીતે એકાદશી વ્રત કરનાર સુખી થાય છે. જે એકાદશી કરે છે તેને સ્વામિનારાયણ ભગવાન અંતકાળે દર્શન આપીને પોતાના અક્ષરધામમાં પણ લઈ જાય છે.

 

ગુણવંતી ગૂર્જર ભુમીના મહાનગર – હેરીટેજ સીટી અમદાવાદના દક્ષીણે આવેલા મણિ સમ સોહતા મણિનગરમાં લાખ્ખો શ્રદ્ધાળુઓનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર શ્રી સ્વામિનારાયણ મંદિર છે. તેમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજને મોહિની એકાદશીના શુભ દિને શીતળ ચંદનના કલાત્મક વાઘાનો નયનરમ્ય શણગાર ધારણ કરવામાં આવ્યો હતો.

 

સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગ્રીષ્મ ઋતુ દરમિયાન ભગવાનને ઠંડક-શીતળતા પ્રાપ્ત તદર્થે સંતો-ભક્તો દ્વારા ચંદન કાષ્ટને ઘસી અને તેના વિશિષ્ટ શણગાર ભગવાનને ધારણ કરાવવામાં આવે છે. શીતળતા આપવામાં શિરમોડ એવું ચંદન ભગવાનને ગરમીથી રાહત મળે તે પૂજનીય પૂજારી સંતો કલાત્મક ચંદન વાઘા – શણગાર અર્ઘ્ય અર્પણ કરતા હોય છે. ચંદન એ સમર્પણનું પ્રતીક છે.તે ઘસાય છે છતાં પણ સુગંધ આપે છે અને માનવજીવનમાં ભગવાનની કસોટીમાં પણ પોતાના સદ્ગુણો જાળવી રાખવાની પ્રેરણા આપે છે. વૈશાખ સુદ એકાદશી - મોહિની એકાદશીએ ભગવાનને મનોરમ્ય અને કલાત્મક ચંદનના વાઘા પહેરાવવામાં આવે છે. જેનાં દર્શન કરી સંતો-ભક્તો, ભાવિકો ગ્રીષ્મ ઋતુમાં અંતરીક શીતળતા અનુભવે છે.

 

આ પાવનકારી દિવસોમાં સંધ્યા આરતી બાદ ભગવાનને ધરાવેલ ચંદન ઉતારી લેવામાં આવે છે. અને ચંદનની ગોટી બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ નિત્યપૂજામાં સંતો-ભક્તો તિલક કરવા માટે કરે છે. જેને કારણે ભગવાનનું પ્રસાદીભૂત ચંદન સદાય તેમના ભાલે સોહે છે, પવિત્રતા તથા શીતળતાનો સંચાર થાય છે. 

 

ભૂમંડળ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં દર્શનદાન અર્પતા ઉપાસ્ય ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરીકૃષ્ણ મહારાજને ચંદનના વાઘાના વિશિષ્ટતા સભર શણગાર ધરાવ્યા હતા. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી મોટેરા સંતોએ અવિસ્મરણીય ચંદનના કલાત્મક શણગારમાં અભયદાન અર્પતા શ્રી સ્વામિનારાયણ ભગવાન - શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજની શણગાર આરતી ઉતારી હતી. શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર તથા કડીથી લાઇવ દર્શન દેશ વિદેશમાં વસતા તમામ સત્સંગી હરિભક્તોએ કર્યા હતાં.

 

(5:37 pm IST)