Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

ધાબા પર જ પતંગ ચગાવવીને ઉત્તરાયણની ઉજવણી કરવા તથા ઉત્તરાયણમાં પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગ જેવી બાબતનું ચોકસાઇથી પાલન કરજો : ઋષિકેશ પટેલ

૧૪ મી જાન્યુઆરી ઉત્તરાયણના પર્વ નિમિત્તે આરોગ્યમંત્રીની નાગરિકોને શુભેચ્છાઓ અને અપીલ

 રાજકોટ તા.૧૩ કોરોનાની ત્રીજી લહેર વચ્ચે 14 મી જાન્યુઆરી આવી રહેલી ઉત્તરાયણ અનોખી બની રહેશે. આ ઉત્તરાયણના પવિત્ર પર્વની રાજ્યના સૌ નાગરિકોને મંત્રી ઋષિકેશભાઈ પટેલે શુભેચ્છાઓ પાઠવી છે.  

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે આ ઉત્તરાયણ પર્વને કોવિડ ગાઇડલાઇન અને સરકારી દિશાનિર્દેશોનો પાલન કરીને ઉજવવા પ્રજાજનોને અનુરોધ કર્યો છે. 

જે સંદર્ભે મંત્રીશ્રીએ નાગરિકોને પોતાના ધાબા પર જ પતંગ ચગાવવા અને ઉત્તરાયણની ઉજવણી કરવા, ઉત્તરાયણમાં પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગ જેવી બાબતનું ચોકસાઇથી પાલન કરવા કહ્યું છે. 

પતંગ અને દોરીની ખરીદી વખતે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા , પતંગ અને દોરીની ખરીદી ભીડ વાડી જગ્યાએથી કરવાનું ટાળવા, ખરીદી સમયે સરકારી ગાઇડલાઇનનું પાલન કરીને માસ્ક , સોશિયલ ડિસ્ટન્સીંગનું ચુસ્ત પણે પાલન કરવા અને જે દુકાનદારે માસ્ક પહેરેલ હોય , કોવિડ અનુરૂપ વ્યવહારનું પાલન કર્યુ હોય તે દુકાનદાર થી જ ખરીદી કરવા અપીલ કરી છે.  

કોરોનાની હાલની પરિસ્થિતિમાં કોરોના રસીકરણ અમોધ શસ્ત્ર હોવાથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરાયેલ કોરોના રસીકરણના મહાઅભિયાનને વધુ વ્યાપક બનાવીને  કોરોનાનું રસીકરણ કરાવવા અને અન્યોને પણ રસીકરણ માટે પ્રેરિત કરવા કહ્યું છે. 

આ ઉત્તરાયણના પર્વમાં અબોલ પક્ષીઓ પ્રત્યે પણ સંવેદના દાખવીને તેઓએ ધાયલ પક્ષીઓની  કાળજી લેવા દરકાર કરી છે. કયાય ઘાયલ પક્ષી દેખાય તો તેની સાર સંભાળ કરીને તરત જ કરૂણા હેલ્પલાઇન નંબર -1962માં ફોન કરીને સારવાર કરાવવા સંવેદનાસભર અપીલ કરી છે. 

ઉત્તરાયણના પર્વે દાનનો મહિમાં પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જેમાં ગાયને ઘાસ-ચારો ખવડાવવું, કપડાનું દાન કરવા જેવા વિવિધ દાન કરીને આ પર્વની પવિત્રતા ઉજાગર કરવામાં આવે છે. ત્યારે પ્રવર્તમાન સંજોગોમાં અંગદાન એ જ મહાદાન છે. અંગોની જરૂરિયાતના કારણે વર્ષોથી સ્વાસ્થ્ય તકલીફો વચ્ચે ઝઝૂમી રહેલા દર્દીને અંગોના દાન થકી નવજીવન આપવા અને અંગદાન માટે સંકલ્પબધ્ધ થવા તેની જાગૃકતા ફેલાવવા પણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે અનુરોધ કર્યો છે.

(1:37 pm IST)