Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

દાદરાનગર હવેલીમાં જિલ્લા પંચાયતમાં સત્તાધારી પક્ષના 17માંથી 1પ સભ્‍યોના રાજીનામાઃ જીડીયુ છોડી ભાજપના શરણે

આગામી સમયમાં પ્રદેશના રાજકારણમાં અનેક બદલાવ થાય તેવી અટકળો શરૂ થઇ

સેલવાસઃ દાદરાનગર હવેલીના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. જિલ્લા પંચાયત પર જીડીયુની સત્તા હતી જેમાંના 17માંથી 1પ સભ્‍યો જીડીયુ છોડી ભાજપમાં જતા જિલ્લા પંચાયત ભાજપના આધિપત્‍ય નીચે આવી ગઇ છે જેથી રાજકારણ ગરમાયુ છે.

દાદરાનગર હવેલીના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતમાં સત્તાધારી પક્ષે સામૂહિક પક્ષપલટો કર્યો છે. મોહન ડેલકરના સમર્થકો અને JDUનું ગઠબંધન સત્તા પર હતું. જેમાં ચૂંટાયેલા 17 માંથી 15 સભ્યોએ કેસરિયા કરી લીધા છે. દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતની કુલ 20 બેઠકોમાંથી 17 પર JDU અને ડેલકરના સમર્થકો હતા. જ્યારે 3 બેઠકો ભાજપ પાસે હતી. માત્ર 3 સભ્યો ધરાવતી ભાજપ હવે જિલ્લા પંચાયતમાં સત્તા મેળવી. ગઠબંધનના સભ્યોએ ભાજપમાં જોડાયાની કલેક્ટરને લેખિતમાં જાણ કરી. ત્યારે આગામી સમયમાં પ્રદેશના રાજકારણમાં અનેક ચોંકાવનારા બદલાવ થાય તેવા એંધાણ છે.

બિહારમાં નીતીશકુમારે ભાજપ સાથેના છેડો ફાડી અને આરજેડી સાથે મળી સરકાર બનાવતા ભાજપ સત્તા વિહોણું થયું હતું. ત્યારે બિહારમાં નીતિશકુમારે છોડેલા સાથનો બદલો ભાજપે સંઘ પ્રદેશ દાદર નગર હવેલીમાં લીધો છે. જ્યાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાંથી જેડીયુનું અસ્તિત્વ જ ભાજપે ખતમ કરી દીધું છે. કારણ કે દાદરાનગર હવેલી જેડીયુના પ્રદેશ પ્રમુખ સહિત પ્રદેશ સંગઠનના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જેડીયુ છોડી અને ભાજપમાં બેસી જતા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના રાજકારણમાંથી જેડીયુનો એકડો નીકળી ગયો છે. આમ બિહારમાં નીતિશકુમારે રમેલા રાજકારણનો બદલો ભાજપ એ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં લીધો છે. અને જેડીયુનું નામ પ્રદેશમાંથી નામશેષ કરી નાખ્યું છે.

દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત પર જીડીયુનો કબજો હતો. કુલ 20 સભ્યોનું સંખ્યાબળ ધરાવતા દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતમાં 17 સભ્યોના સંખ્યાબળ સાથે જેડીયુ પ્રચંડ બહુમતીથી દાદરા નગર હવેલીની જિલ્લા પંચાયતમાં સત્તા પર હતું. પરંતુ આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના જેડીયુના પ્રદેશ પ્રમુખ ધર્મેશ સિંહ ચૌહાણની સાથે તેમની સંગઠનની પૂરી ટીમની સાથે જેડીયુ શાષિત સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ નિશા ભવર અને ઉપ પ્રમુખ દીપક પ્રધાન સહિત જેડીયુના 17માંથી 15 સભ્યોએ પણ જેડીયુનું દામન છોડી અને ભાજપમાં ખસી ગયા. આમ, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના રાજકારણમાંથી ભાજપે જેડીયુનો એકડો જ કાઢી નાંખ્યો.

આમ બિહારમાં નીતિશકુમારે રમેલી રાજ રમતનો બદલો ભાજપે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં લીધો છે. ત્યારે જેડીયુ છોડી અને પૂરા સંગઠન સાથે ભાજપમાં જોડાયેલા જેડીયુના પ્રદેશ પ્રમુખ ધર્મશ સિંહ ચૌહાણે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિથી પ્રેરાઈ અને જેડીયુ સાથે છેડો ફાડી જેડીયુની આખી ટીમ ભાજપમાં જોડાઈ હોવાનું જણાવ્યું હતું. આમ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના રાજકારણમાં ખળભળાટ મચાવી જેડીયુનું આખું સંગઠનનું માળખું ભાજપમાં ભળી જતા આવનાર સમયમાં પ્રદેશના રાજકારણમાં મોટા ઊલટ ફેર થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

(4:53 pm IST)