Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

સુરતમાં એડીએસ કલ્‍ચર અને આરએનસી એન્‍ટરપ્રાઇઝના નામની 10 વેપારીઓએ ભાગીદારમાં પેઢી બનાવી જુદા-જુદા વેપારી પાસે ઉધારમાં કાપડનો માલ લઇ પેઢી બંધ કરી 21 કરોડની છેતરપિંડી

મોટી માત્રામાં ગ્રે કાપડનો માલ મંગાવીને કાપડ માર્કેટમાં ઓછા ભાવે વેચી દેતાઃ કૌભાંડનો મુખ્‍ય આરોપી અનસ મોતીયાણી

સુરતઃ સુરતમાં 10 ભાગીદારોએ એડીએસ કલ્‍ચર અને આરએનએસ નામની પેઢી બનાવી શહેરના જુદા-જુદા વેપારી પાસેથી ઉધારમાં ગ્રે કાપડનો માલ મંગાવી પોતાના નામે બતાવી કાપડ માર્કેટમાં ઓછા ભાવે વેંચી દેતા હતા. જેમાં આ ભાગીદારોએ 21 કરોડનું ઉઠમણુ કર્યુ છે. પેઢી બંધ કરી દેતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.

ગુજરાતની ઔદ્યોગિક રાજધાની ગણાતા સુરત શહેરમાં કાપડના વેપારીઓ ભરોસા પર પોતાનો ધંધો કરે છે. જોકે, તેના જ કારણે કાપડ માર્કેટમાં ઉઠમણાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. થોડા મહિના પહેલા સુરતની ગ્લોબલ ટેક્સ્ટાઇલ માર્કેટમાં ઉઠામણું થવાની ઘટમાં બની હતી. જેમાં ઉધારમાં માલ ખરીદીને કુલ રૂપિયા 21 કરોડની છેતરપિંડીના આ કેસમાં વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી.

ત્યારબાદ તેની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચની ઇકો સેલને સોંપવામાં આવી હતી. જેમાં અગાઉ છ આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા છે અને વધુ એક આરોપીની ઇકો સેલે ભાવનગરથી ધરપકડ કરી છે. મહત્વનું છે કે, આરોપી ગુનો આચરી દુબઈ ભાગી ગયો હતો. સુરતના સહારા દરવાજા ખાતે આવેલી ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં ADS કલ્ચર અને RNC એન્ટરપ્રાઈઝના નામથી ભાગીદારી પેઢી બનાવીને અલગ અલગ વેપારીઓ પાસેથી ગ્રે કાપડનો કરોડો રૂપિયાનો માલ ઉધારમાં ખરીદીને કુલ 10 જેટલા ભાગીદારોએ 21 કરોડ રૂપિયાનું ઉઠમણું કર્યું હતું અને ઉઘરાણીના સમયે દુકાન બંધ કરીને નાસી ગયા હતા.

આ તમામ લોકો વિવર્સ પાસેથી ઉધારમાં મોટી માત્રામાં ગ્રે કાપડનો માલ મંગાવીને પોતાના નામે બતાવી કાપડ માર્કેટમાં ઓછા ભાવે વેચી દેતા હતા અને વિવર્સને રૂપિયા ચૂકવતા ન હતા. આ સમગ્ર કૌભાંડનો મુખ્ય આરોપી અનસ મોટીયાણી છે જે હાલ દુબઈમાં છે. જ્યારે અન્ય ભાગીદારો પૈકી અજીમ પેન વાલા, દીક્ષિત મિયાણી, જનક છાંટબાર, જીતેન્દ્ર માંગુકિયા, મહાવીર તાપડીયા અને જીતેન્દ્ર પુરોહિત ની આ કેસમાં સુરત પોલીસ અગાઉ ધરપકડ કરી ચૂકી છે.

જ્યારે આ કેસનો વધુ એક આરોપી રવિરાજસિંહ ગોહિલ જે પણ અનસ મોટીયાણી સાથે દુબઈ ભાગી ગયો હતો તે ભારત પરત આવતા તેની બાતમીના આધારે સુરતની ઇકો સેલે ધરપકડ કરી છે. પોલીસના હાથે પકડાયેલ આરોપી રવિરાજસિંહ ગોહિલ મુખ્ય આરોપી અનસ સાથે દુબઈ ભાગી ગયો હતો અને દુબઈ ખાતે આવેલ અલઅવિર શાક માર્કેટમાં શાકભાજીનો ધંધો શરૂ કર્યો હતો. જો કે બંને પૈકી રવિરાજસિંહના વિઝા પુરા થવાના હોવાથી તે ભારત પરત આવી ગયો હતો.

ભારત આવ્યા બાદ તે રાજ્યના અલગ અલગ મંદિરોમાં રોકાયો હતો. ત્યારબાદ પોતાના ગામ વાવ ખાતે ખેતરોમાં તેમજ ઘરે સંતાઈને રહેતો હતો. જે અંગેની બાતમી સુરત ઇકો સેલ ની ટીમને મળતા તેને તેના મૂળ ગામ ભાવનગરના વાવ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કેસમાં અગાઉ ઝડપાયેલા આરોપી પાસેથી સુરત પોલીસે 4 કરોડ 73 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો હતો.

જ્યારે રવિરાજસિંહ ગોહિલ પકડાયો છે ત્યારે તેની પૂછપરછ કરીને તેની પાસેથી પણ મુદ્દા માલિક કવર કરવાની તજવીજ હાથ કરવામાં આવી છે. સુરત શહેરના કુલ 100 થી વધુ વિવર્સ સાથે છેતરપિંડી કરવાના ગુનામાં રવિરાજસિંહ સહિત પોલીસે કુલ સાત આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે હજુ ત્રણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે જેમાંનો મુખ્ય આરોપી અનસ મોતીયાણી દુબઈમાં બેઠો હોવાથી પોલીસ દ્વારા તેને પકડવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.

(4:57 pm IST)