Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

રાજ્યમાં વકીલો-ઓટો ડ્રાઇવર, ખેડૂત, વેપારી બધાને મળ્યો, બધાએ કહ્યુ કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધારે છે : કેજરીવાલ

આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ભ્રષ્ટાચાર મુક્ત અને ભય મુક્ત શાસન આપીશું.

અમદાવાદ :દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં કહ્યુ કે બે મહિના રહી ગયા છે, ભાજપ જઇ રહ્યુ છે અને આમ આદમી પાર્ટી આવી રહી છે. અમે ગુજરાતની તમામ બેઠકો પર ચૂંટણી લડીશુ. અરવિંદ કેજરીવાલે કોંગ્રેસના એક આરોપનો જવાબ આપતા કહ્યુ, કોંગ્રેસ ખતમ થઇ ગઇ છે. જ્યારે એક પત્રકારે તેમણે કોંગ્રેસના આરોપો વિશે પૂછ્યુ તો તેમણે કહ્યુ, કોંગ્રેસ ખતમ થઇ ગઇ છે, તેમના સવાલ ઉઠાવવાના બંદ કરો.

કેજરીવાલે કહ્યુ કે હું છેલ્લા કેટલાક મહિનાથી ગુજરાતમાં ફરી રહ્યો છું, જનતાને મળી રહ્યો છું, કેટલાક ટાઉનહોલ કર્યા છે. વકીલો-ઓટો ડ્રાઇવર, ખેડૂત, વેપારી બધાને મળ્યો, બધાએ કહ્યુ કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધારે છે. તમારે કોઇ પણ સરકારી વિભાગમાં કામ કરાવવુ છે તો પૈસા આપવા પડે છે. નીચલા લેવલ પર પણ ભ્રષ્ટાચાર છે, ઉપર પણ આરોપ લાગતા રહે છે. તેમના વિરૂદ્ધ જો કોઇ બોલ્યા તો ડરાવવા અને ધમકાવવામાં આવે છે. વેપારી ઉદ્યોગપતિઓની રેડની ધમકી આપે છે અને કહે છે કે તમારો ધંધો બંધ કરાવી દઇશુ. ચારે તરફ એટલો બધો ભ્રષ્ટાચાર અને ગુંડાગર્દી છે. આજે અમે ગેરંટી આપીએ છીએ, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ભ્રષ્ટાચાર મુક્ત અને ભય મુક્ત શાસન આપીશું.

કેજરીવાલે કહ્યુ કે અમારો કોઇ પણ મુખ્યમંત્રી, મંત્રી, ધારાસભ્ય, અમારો કોઇ સાંસદ અથવા કોઇનો પણ સાંસદ હોય કોઇને ભ્રષ્ટાચાર કરવા નહી દઇએ, ભ્રષ્ટાચાર કર્યો તો જેલમાં મોકલીશુ. ગુજરાતની જનતાના પૈસા ગુજરાતના વિકાસ પર ખર્ચ થશે.

આ સાથે જ નેતાઓ મંત્રીઓ, ધારાસભ્યના તમામ કાળા ધંધા બંધ કરવામાં આવશે. ઝેરી દારૂ વેચાઇ રહ્યુ છે, આટલો નશો ક્યાથી આવી રહ્યો છે, તેમના મા-બાપ આ પાર્ટીમાં બેઠા છે, આ બધુ બંધ થશે.

 

આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે જો હું ગુજરાતના લોકોને મફત વિજળી આપવાની વાત કરૂ છુ તો ભાજપ તેનો વિરોધ કેમ કરી રહી છે? જો હું સ્કૂલ હોસ્પિટલ બરાબર કરાવવાની વાત કરી રહ્યો છું તો ભાજપને શું તકલીફ છે, તે કેમ વિરોધ કરી રહી છે, જેમ દિલ્હીના લોકોને મફત વિજળી મળી, પંજાબના લોકોને મળી ગુજરાતના લોકોને પણ મળવી જોઇએ, ગુજરાતના સ્કૂલ અને હોસ્પિટલ સ્વસ્થ થવા જોઇએ.

કેજરીવાલે વધુમાં કહ્યુ કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની તો  છેલ્લા 10 વર્ષમાં જેટલા પણ પેપર લીક થયા છે તેમના માસ્ટર માઇન્ડ અને આકાઓને અમે જેલના સળિયા પાછળ ધકેલીશુ.

 

(7:26 pm IST)