Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

ગાંધીનગરમાં રોહિત સમાજના મહાસંમેલનના દિવસે જ બીજેપી અનુસૂચિત મોરચાનો કાર્યક્રમ

રાજ્યનાતમામ જિલ્લામાંથી 50 હજારથી વધુ રોહિત સમાજના દર્શનાર્થીઓ સંમેલનમાં જોડાશે તેવામાંબીજેપીના અનુસૂચિત મોરચાના કાર્યક્રમને લઈને નવા તર્ક-વિતર્ક

અમદાવાદ :સંત શ્રી રોહિદાસ સેવા સમાજ (ગુજરાત ) ગાંધીનગર સંસ્થા રાજ્યના સમગ્ર રોહિત સમાજનું પ્રથમ મહાસંમેલનનું આયોજન તારીખ 25ને રવિવારના રોજ રામકથા મેદાન ગાંધીનગરમાં કરવા આવી રહ્યું છે. જોકે, તે દિવસે જ અનુસૂચિત મોરચા ભાજપા દ્વારા વધુ એક કાર્યક્રમ, નારી શંક્તિ વંદનાની જાહેરાત કરી દેવામાં આવી છે. મહાસંમેલનની તૈયારીઓ છેલ્લા એક વર્ષથી ભાજપ-કોંગ્રેસ સહિતના તમામ રોહિત સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી રહી હતી.

બીજેપી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પ્રેક્ષા વિશ્વભારતી કોબા ગાંધીનગર ખાતે પોતાનો કાર્યક્રમ રાખ્યો છે. આમ બીજેપી અનુસૂચિત મોરચા રોહિત સમાજના કાર્યક્રમના દિવસે જ કાર્યક્રમનું આયોજન કર્યું અને સ્થળ પણ ગાંધીનગર જ રાખ્યું છે.

બીજેપી અનુસૂચિત મોરચાના કાર્યક્રમને લઈને વિવાદ ઉભો થઈ રહ્યો છે. રોહિત સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. રોહિત સમાજનું પ્રથમ કાર્યક્રમ થઈ રહ્યું છે અને તેના માટે સંત શ્રી રોહિદાસ સેવા સમાજ (ગુજરાત ) ગાંધીનગર સંસ્થા દ્વારા તેને સફળ બનાવવા માટે ખુબ જ મહેનત પણ કરવામાં આવી રહી છે અને ગુજરાતના તમામ જિલ્લામાંથી 50 હજારથી વધુ રોહિત સમાજના દર્શનાર્થીઓ સંમેલનમાં જોડાવાના છે.

જોકે તેવામાં બીજેપીના અનુસૂચિત મોરચાના કાર્યક્રમને લઈને નવા તર્ક-વિતર્ક ઉભા થઈ રહ્યાં છે. રોહિત સમાજના લોકો આને બીજેપી તરફથી એક નકારાત્મક સંદેશો આપવામાં આવ્યો હોય તેવું સમજી રહ્યાં છે. સમાજના લોકોનું તેવું પણ કહેવું છે કે બીજેપી અનુસૂચિત મોરચા આ કાર્યક્રમને બીજા દિવસે રાખી શકતા હતા.

અનુસૂચિત મોરચાના પ્રમુખ ડોક્ટર પ્રદ્યુમન વાંજાના પ્રમુખને પોતાના જ કાર્યક્રમના સમયનો ખ્યાલ નહતો. જ્યારે ડો વાંજાને પૂછવામાં આવ્યું કે, રોહિત સમાજના કાર્યક્રમના દિવસે જ બીજેપી અનુસૂચિત મોરચાનો કાર્યક્રમ કેમ રાખવામાં આવ્યો તો તેમને જણાવ્યું કે, “અમારો કાર્યક્રમ એક વાગે છે”, અસલમાં તેમના કાર્યક્રમના પોસ્ટરમાં સમય 11 વાગ્યાનો દર્શાવવામાં આવ્યો છે.

બીજેપી ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર, પૂર્વ મંત્રી, નિવૃત્ત એડીશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ કે. ડી. પાટડીયા, પૂર્વ ધારાસભ્ય તથા નિવૃત આઈ. એ. એસ. આર. એમ. પટેલ, સંયોજક કાર્યક્રમ અને બેઠક વિભાગ પ્રદેશ ભાજપ ગુજરાત નરેશ ચાવડા, તેમજ અમદાવાદ શહેર ના કાઉન્સિલર હીરાભાઈ પરમાર, મિત્તલબેન મકવાણા, ભારતીબેન વાણીયા રોહિત સમાજના મંદિરના કાર્યક્રમ સાથે સતત કાર્યરત છે.

હાલના સાંપ્રત સમયમાં સમગ્ર રોહિત સમાજની એકતા તેમજ સામાજીક, શૈક્ષણિક, આર્થિક, વ્યવસાયિક અને રોજગારી બાબતે સામુહિક વિચારમંથનથી યોગ્ય દિશામાં સમાજના નવનિર્માણ માટે ચર્ચા વિચારણા કરવા માટે મહાસંમેલન રાખવામાં આવ્યું છે.

 

(7:32 pm IST)