Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

માજી સૈનિકના મૃતદેહ સ્વીકારવા મુદ્દે પરિવાર અને માજી સૈનિકો વચ્ચે ખટરાગમાં અંતે સમાધાન:પરિવારજનો મૃતદેહ સ્વીકારશે!

પરિવારજનો મૃતદેહ સ્વીકારવા તૈયાર થયા હતા તો માજી સૈનિક સંગઠને મૃતદેહ લઈને આવેલી એમ્બ્યુલન્સને પરત મોકલી દીધી:પરિવાર અને સંગઠન વચ્ચે ભારે બબાલ

ગાંધીનગરમાં નિવૃત્ત આર્મીમેનના મોત મામલે વિવાદ થયો છે.એકબાજી પરિવારજનો મૃતદેહ સ્વીકારવા તૈયાર થયા હતા તો બીજી તરફ માજી સૈનિક સંગઠને મૃતદેહ લઈને આવેલી એમ્બ્યુલન્સને પરત મોકલી દીધી હતી,પરિવાર અને સંગઠન વચ્ચે ભારે બબાલ થઇ હતી  જેમાં મૃતકના પરિવારજન અને માજી સૈનિક સંગઠન વચ્ચે ભારે ખટરાગ થયો હતો જેના લીધે સ્થિતિ વધુ પેચીદી બની  હતી. હવે પરિવારજનો અને માજી સૈનિક સંગઠન વચ્ચે સમાધાન થઈ ગયું છે અને પરિવારને મૃતદેહ સ્વીકારવા દેવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં પોતાની માંગણીઓ માટે વિરોધ પ્રદર્શન કરી રહેલા એક પૂર્વ સૈનિકનું મંગળવારે ઈજાના કારણે મોત થયું હતું. પૂર્વ સૈનિકના મોતનો મામલો હવે જોર પકડી રહ્યો છે. પોલીસ દ્વારા બળપ્રયોગથી ઘાયલ થયા બાદ તેનું મોત થયું હોવાનો આરોપ છે. જોકે, મોત કુદરતી રીતે થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.મોતની જાણ થતાની સાથે જ સેંકડો લોકો સિવિલ હોસ્પિટલમાં ઘૂસી ગયા હતા અને વિરોધ કરવા લાગ્યા હતા. સાથે જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ સાથે જ ગુજરાતના ગૃહમંત્રીએ પૂર્વ સૈનિકના મોતની તપાસના આદેશ આપી બે દિવસમાં રિપોર્ટ સોંપવા જણાવ્યું છે.

ગાંધીનગરમાં ભૂતપૂર્વ સૈનિકો દ્વારા 14 મુદ્દાઓની માંગણીઓ પર શાંતિપૂર્ણ વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે તેમને ચિલોદ પાસે પરવાનગી વિના વિરોધ કરતા અટકાવ્યા હતા. તેના પર પૂર્વ સૈનિકો ત્યાં ધરણા પર બેસી ગયા હતા. આરોપ છે કે પોલીસે તેમને હટાવવા માટે બળપ્રયોગ કર્યો હતો. આ દરમિયાન અથડામણમાં પૂર્વ જવાન ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

(12:01 am IST)