Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

લગ્નનો મહાકુંભ યોજાશેઃ ૩૨ લાખ નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે

૨૨ નવેમ્‍બરથી ગુજરાતમાં લગ્નસરાની સિઝનનો પ્રારંભ થશેઃ જે કમુર્તા સુધી ચાલશેઃ પરંતુ ૨૨ નવેમ્‍બરથી ૧૬ ડિસેમ્‍બર વચ્‍ચે મોટી સંખ્‍યામાં લગ્નો યોજાશેઃ તેમાં પણ ૨, ૪ અને ૮ ડિસેમ્‍બરે શુભ મુહૂર્ત હોવાથી ધોમ લગ્નગાળો છે

નવી દિલ્‍હી, તા.૧૪: દેશમાં આ વખતે રેકોર્ડ બ્રેક લગ્ન યોજાશે. છેલ્લા ૨ વર્ષથી કોરોનાના કારણે લોકો લગ્ન યોજવાનું ટાળી રહ્યા હતા. ત્‍યારે ધીમે ધીમે કોરોના મહામારીના કેસો ઓછા થતા તમામ જાહેર કર્યક્રમોને સરકારે મંજૂરી આપી હતી. જેને લઈ આ વર્ષે લગ્ન સીજનમાં દેશમાં રેકોર્ડ બ્રેક લગ્ન યોજાશે. દેશના વિવિધ પ્રાંતોમાં રીતીરીવાજ મુજબ નવ દંપતિઓ લગ્ન બંધનમાં બંધાશે.

જો કે નેતાઓના જણાવ્‍યા મુજબ તેઓ લોકોને પહેલાં સમજાવશે કે મતદાન કર્યા પછી જ મતદાર લગ્નમાં હાજરી આપવા પહોંચે. પંડિતોના મતે ૨, ૪ અને ૮ ડિસેમ્‍બરે રાજ્‍યમાં લગ્ન માટેના ખૂબ જ ઉત્તમ મુહૂર્ત છે. જેને લઇને આ સમયગાળા દરમિયાન અસંખ્‍ય લગ્ન યોજાશે.

ત્‍યારે બીજી બાજુ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન ૧ અને ૫ ડિસેમ્‍બરે યોજાશે. તથા મતદારોએ કરેલા મતદાનનું પરિણામ ૮ ડિસેમ્‍બરના રોજ જાહેર કરવામાં આવશે.

પંડિતોના જણાવ્‍યા અનુસાર ૨૨ નવેમ્‍બરથી ગુજરાતમાં લગ્નસરાની સિઝનનો પ્રારંભ થશે. જે કમુર્તા સુધી ચાલશે. પરંતુ ૨૨ નવેમ્‍બરથી ૧૬ ડિસેમ્‍બર વચ્‍ચે મોટી સંખ્‍યામાં લગ્નો યોજાશે. તેમાં પણ ૨, ૪ અને ૮ ડિસેમ્‍બરએ શુભ મુહૂર્ત હોવાથી ધોમ લગ્નગાળો છે. ૨૫ નવેમ્‍બરથી ૧૪ ડિસેમ્‍બર સુધી લગ્ન માટે શુભ સમય છે.

જ્‍યારે ૧૪ ડિસેમ્‍બર બાદ એક મહિનો કમુર્તા રહેશે. ખાસ કરીને ૨૮, ૨૯ નવેમ્‍બર અને ૨, ૪ અને ૮ ડિસેમ્‍બરે સાથે કુલ ૪૧ દિવસમાં ભારતમાં ૩૨ લાખ નવદંપતિઓ લગ્નગ્રંથિમાં જોડાશે. જેનો કુલ ખર્ચો રૂ. ૩.૭૫ લાખ કરોડ જેટલો થશે તેવી આશા ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીએ વ્‍યક્‍ત કરી હતી.મહત્‍વની વાત એ છે કે હાલ કોરોના મહામારીનો પ્રતિબંધ ન હોવાથી મહેમાનોની સંખ્‍યામાં પણ મોટો વધારો જોવા મળશે. જેને લઇને આયોજકોમાં પણ ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ લગ્ન સાથેના વ્‍યવસાય પાર્લર, ફોટો શૂટિંગ, કેટરર્સ, ડીજે સહિતના વ્‍યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને પણ બહુ મોટી રકમમાં કમાણી કરી રહ્યા છે.

કોંગી નેતાના જણાવ્‍યા અનુસાર લગ્ન બેશક મહત્‍વપૂર્ણ અને શુભ પ્રસંગ હોય છે. પરંતુ લોકશાહીનું આ પર્વ પણ મહત્‍વનું હોવાથી લોકોને મત આપવા માટે થોડો સમય કાઢીને સમજાવવાનો પ્રયાસ કરીશું. વધુમાં ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાના જણાવ્‍યા અનુસાર પક્ષને ધ્‍યાનમાં લીધા વિના સારા ઉમેદવારને જીત અપાવીએ તે તમામ લોકોની જવાબદારી છે. આથી લગ્નગાળામાંથી થોડો સમય કાઢી સારા ઉમેદવારોને જીત અપાવવા મતદાન અંગે અમે લોકોને વિનંતી કરશું.

(3:47 pm IST)