Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

નડિયાદ બાદ કઠલાલ પંથકમાં હત્યા: યુવાનની ભેદી સંજોગોમાં હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા ચકચાર

નરેશ ઉર્ફે ઢીલાનો મૃતદેહ લાડવેલ સીમમાં લૂણી વિસ્તારમાં આવેલી ગૌચરની જમીનમાંથી મળ્યો : દિકરાનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ જોતા પિતા હેબતાઈ ગયા

નડિયાદ બાદ કઠલાલ પંથકમાં હત્યા થઇ છે,યુવાનની ભેદી સંજોગોમાં હત્યા થતાં ચકચાર મચી જવા પામી છે. કઠલાલ તાલુકાના લાડવેલ ગામે ટેકરા વિસ્તારમાં રહેતા 60 વર્ષીય બાલાભાઈ મંગળભાઈ પરમાર ખેતીકામ કરે છે. તેમને 3 સંતાનમાંથી વચેટ સંતાન નરેશ ઉર્ફે ઢીલો (ઉ.વ.30)ની ભેદી સંજોગોમાં હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે.

ગતરોજ પડોશમાં રહેતા ઈશાભાઈ કાંતિભાઈ બારૈયાના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી આ બાલાભાઈ પરમાર અને તેમના પરિવારના લોકો લગ્ન પ્રસંગમાં ગયા હતા. આ દરમિયાન બાલાભાઈનો દિકરો પણ નરેશ ઉર્ફે ઢીલો પણ અહીંયા તેઓની સાથે આવ્યો હતો. બાદમાં બાલાભાઈ પરમાર અને અન્ય લોકો ઘરે આવી ગયા હતા અને મોડી રાત સુધી નરેશ ઉર્ફે ઢીલો ઘરે આવ્યો નહોતો. જેથી બાલાભાઈને લાગ્યું કે તે લગ્ન પ્રસંગવાળાના ઘરે તેના દોસ્તારો સાથે સુઈ ગયો હશે

  જો કે, બીજા દિવસે નરેશ ઉર્ફે ઢીલાનો મૃતદેહ લાડવેલ સીમમાં લૂણી વિસ્તારમાં આવેલી ગૌચરની જમીનમાંથી મળી આવ્યો હતો. જેની જાણ બાલાભાઈ પરમારને થતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જ્યાં દિકરાનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ જોતા તેઓ હેબતાઈ ગયા હતા. આ બનાવ મામલે બાલાભાઈ પરમારે અજાણ્યા વ્યક્તિ સામે કઠલાલ પોલીસમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. .

 

(12:14 am IST)