Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

કોરોનાને હળવાશથી ન લોઃ કોરોનાની ત્રણેય ઝપેટમાં આવી ગયેલ અમદાવાદના મહિલાની લોકોને સલાહઃ શરીર ખૂબ જ અશક્ત થઇ ગયુ

ઍકપણ લક્ષણ દેખાય કે તરત જ ટેસ્ટ કરાવી લે છે

અમદાવાદ: વારંવાર કહેવાય છે કે કોરોનાને હળવાશથી ન લો. કોરોના કેટલા પ્રાણઘાતક છે એ આપણે સૌ જોઈ ચૂક્યા છે. આવામાં એક એવો કિસ્સો આવ્યો છે, જે તમારા રુંવાડા ઉભા કરી દેશે. અમદાવાદની એક મહિલા એક-બે વાર નહિ, પણ ત્રણવાર કોરોનાની ઝપેટમાં આવી ચૂકી છે. અમદાવાદનાં સેટેલાઇટમાં રહેતાં અવની વ્યાસ ભારતમા આવેલી ત્રણેય લહેરમાં કોરોનાનો ભોગ બન્યા છે. કોરોનાએ તેમના શરીરને એટલી હદે અશક્ત બનાવ્યુ છે કે તેઓ હવે લોકોને કહે છે કે, કોરોનાને હળવાશથી ન લો.

સેટેલાઈટ વિસ્તારમાં રહેતા અવની વ્યાસ કોરોનાની ત્રણેય લહેરમાં ઝપેટમાં આવી ચૂક્યા છે. બંને વેક્સિન પણ લીધી હોવા છતાં તેઓ ફરી પોઝિટિવ આવ્યા છે. હવે સ્થિતિ એવી બની છે કે, તેઓ કોરોનાને પગલે એટલા સજાગ થઈ ગયા છે કે, એકપણ લક્ષણ દેખાય કે તરત જ ટેસ્ટ કરાવી લે છે. જેથી તે કોવિડને ગંભીર બનતાં અટકાવી શક્યા છે.

ત્રણવાર કોરોના બાદ સાઈડ ઈફેક્ટ

પોતાનાં ત્રણેય વખતના કોવિડ અનુભવ વિશે અવનીબેન કહે છે, પહેલી લહેરમાં મને ખૂબ જ વીકનેસ આવી. બીજી લહેરમાં કોવિડ મટ્યા પછી મારામાં વિકનેસ વધી. પણ ત્રીજી વખત પોઝિટિવ આવ્યા બાદ પહેલી બે લહેર જેવી તકલીફ નથી પડી. પણ બીજી લહેર બાદ મને ડાયાબિટીસ આવી ગયો. પહેલા તો હુ રોજના 10 હજાર સ્ટેપ્સ ચાલી લેતી હતી, હવે 5000 સ્ટેપ્સ પણ માંડ ચાલીશકાય છે.

આટલા નુકસાન બાદ અવનીબેન લોકોને કહેતા થઈ ગયા છે કે, કોરોનાને હળવાશથી ન લો. કોઈ પણ લક્ષણો દેખાય તો ટેસ્ટ કરાવવામાં જરાય ચૂક ન કરો જેથી સારવાર શરૂ થાય અને બીજાને નુકસાન ન થાય. માસ્ક ખાસ પહેરો જેથી તેને ટાળી શકાય. અવનીબેન હવે કોરોના બાદ યોગના રસ્તે પણ વળ્યા છે. તેઓ અન્ય લોકોને પણ યોગ કરવા સલાહ આપે છે. 

ત્રણેય લહેરમાં પણ પોતાની જાતને કોરોનામુક્ત બનાવનાર અવનીબેન લોકોને કહે છે કે, કોવિડે ભલે શારીરિક રીતે નુકસાન કર્યું હશે પરંતુ કોવિડે મને મારી જાત સાથે મુલાકાત કરાવી. જેના માટે હું તેનો આભાર માનીશ.

(4:52 pm IST)