Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

રાજ્યના અબોલ પશુઓને શ્રેષ્ઠ ચિકિત્સા સેવા અને સંવર્ધન સેવાઓ મળી રહે તે માટે અધ્યતન માળખાકીય સુવિધાઓ પુરી પાડવા રાજ્ય સરકાર કટીબદ્ધ: કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઇ પટેલ

અમદાવાદ મકરબા ખાતે પશુપાલન સંકુલ, સુરત માંડવી ખાતે બુલ મધર ફાર્મ તેમજ સુરત ખાતે “ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના”ના અધ્યતન સુવિધાયુક્ત નવનિર્મિત મકાનના ઇ-લોકાર્પણ: રાજયમાં અત્યાર સુધીમાં ૬૭,૬૦૦ થી વધુ ૫શુ આરોગ્ય મેળાઓના આયોજન થકી ૨.૭૫ કરોડથી વધુ નિ:શુલ્ક ૫શુ સારવાર આપવામાં આવી

અમદાવાદ : પશુ સંવર્ધન ક્ષેત્રને રાજ્ય સરકાર દ્વારા અપાતુ વિશેષ મહત્વ : રાજ્યમાં ૪,૫૯૫ કૃત્રિમ બીજદાન કેન્દ્રો કાર્યરત : કૃત્રિમ બીજદાનમાં ૨૭૫.૪૫ ટકા વધારો

૪૬૦ મોબાઇલ પશુ દવાખાના દ્વારા અત્યાર સુધીમાં કુલ ૨૩ લાખથી વધુ પશુ સારવાર પુરી પાડવામાં આવી૩૭ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ મારફતે અત્યાર સુધીમાં કુલ ૩.૭૦ લાખથી પણ વધુ પશુ-પક્ષીઓની સારવાર વિનામુલ્યે પૂરી પાડવામાં આવી હતી

રાજ્યના પશુપાલકોને તેમના પશુઓ માટેની સારી ચિકિત્સા સેવા અને સંવર્ધન સેવાઓ મળી રહે તે માટે માળખાકીય સુવિધાઓ વધુ સારી તૈયાર કરવા માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. જે અંતર્ગત આજે કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઇ પટેલે રાજયકક્ષાના પશુપાલન મંત્રીશ્રી દેવાભાઇ માલમની ઉપસ્થિતિમા વધુ ત્રણ અધ્યતન મકાનોના ઇ-લોકાર્પણ કર્યા હતા. અમદાવાદના મકરબા ખાતે પશુપાલન સંકુલ, સુરતના માંડવી ખાતે બુલ મધર ફાર્મ તેમજ સુરત ખાતે ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના નવનિર્મિત મકાનના આજે ઇ-લોકાર્પણ મંત્રીના કાર્યાલયમાંથી કરવામાં આવ્યા છે.
કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઇ પટેલે ઇ-લોકાર્પણ કરતા કહ્યુ કે, આજે લોકાર્પણ થયેલા સુવિધાસભર નવનિર્મિત મકાનોથી રાજ્યમાં પશુ ચિકિત્સા અને પશુ સંવર્ધન સેવાઓ વધુ સુદ્રઢ બનશે તેવો મને ચોક્કસ વિશ્વાસ છે. સુરત જીલ્લામાં રૂ.૨૩૧.૪૨ લાખના ખર્ચે તૈયાર કરાયેલ નવનિર્મિત મકાન “ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના કચેરી”નુ આજે ઈ-લોકાર્પણ થયું જેના થકી પશુઓમાં કૃત્રિમ બીજદાન અને જાતીય આરોગ્ય કેમ્પની અગત્યની કામગીરી થશે. તે ઉપરાંત સુરતના માંડવી ખાતે મહેસાણી ભેંસો માટે રૂ. ૮૦૭.૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલ નવિન બુલ મધર ફાર્મનો મુખ્ય હેતુ રાજ્યના ટ્રાઇબલ વિસ્તારમાં પશુઓલાદ સુધારણાનો છે. જેમાં અંદાજે ૩૦૦ પશુઓનાં વૈજ્ઞાનિક ઢબે નિભાવ કરવામાં આવનાર છે. આ ઉપરાંત અમદાવાદના મકરબા ખાતે રૂ. ૧૩૦૨ લાખના ખર્ચે તૈયાર થયેલ પશુપાલન ભવન ખાતે ૧૦૦થી વધુ અધિકારી-કર્મચારીશ્રી માટેની બેઠક વ્યવસ્થા ઉપરાંત કોન્ફરન્સ હોલ (ડાઈનીંગ હોલ સાથે) વેકસીન કોલ્ડ સ્ટોરેજ તથા રેકર્ડ સાચવણી માટે કોમ્પેકટર સહિતની સુવિધા ઉભી કરવામા આવી છે.
મંત્રીએ ઉમેર્યુ કે, પશુપાલન એ કૃષિ સાથે જોડાયેલો અભિન્ન વ્યવસાય છે. રાજયના પશુપાલકોને મદદરૂપ થવા રાજય સરકારે અનેકવિધ યોજનાઓ, કાર્યક્રમો હાથ ધર્યા છે. વર્ષ ૨૦૦૨ થી શરૂ થયેલા પશુ આરોગ્ય મેળા અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૬૭,૬૦૦ થી વધુ ૫શુ આરોગ્ય મેળાઓના આયોજન દ્વારા ૨.૭૫ કરોડથી વધુ નિ:શુલ્ક ૫શુ સારવાર આપવામાં આવી છે. રાજ્યમાં પશુ ચિકિત્સા સેવાઓનો વ્યાપ વધારવા છેલ્લાં પાંચ વર્ષમાં ૧૦ નવીન વેટરીનરી પોલીક્લીનીક્સ અને ૧ નવીન પશુ રોગ અન્વેષણ એકમ સ્થાપવામાં આવ્યા છે.
મંત્રીએ કહ્યુ કે, પશુપાલકોને ગામબેઠાં પશુ સારવાર સેવાઓ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા “૧૦ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના યોજના” હેઠળ કુલ ૪૫૦૦ થી વધુ ગામોને આવરી લઇ ૪૬૦ મોબાઇલ પશુદવાખાના કાર્યરત કરવામાં આવ્યા છે, આ ફરતાં પશુ દવાખાના દ્વારા અત્યાર સુધીમાં કુલ ૨૩ લાખથી વધુ પશુ સારવાર પુરી પાડવામાં આવી છે.
તેમણે ઉમેર્યુ કે, આકસ્મિક પશુ સારવાર તેમજ માલિક વિહોણા પશુઓની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા કાર્યરત કરાયેલ કુલ ૩૭ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ મારફતે ઓક્ટોબર, ૨૦૧૭ થી અત્યાર સુધીમાં કુલ ૩.૭૦ લાખથી પણ વધુ પશુ-પક્ષીઓની સારવાર વિનામુલ્યે પૂરી પાડવામાં આવી છે.
તેમણે વધુમા ઉમેર્યુ કે, પશુ ચિકિત્સા સાથે પશુ સંવર્ધન ક્ષેત્રે પણ રાજ્ય સરકાર દ્વારા અપાયેલ મહત્વને કારણે છેલ્લા પંદર વર્ષમાં રાજ્યમાં કુલ ૪,૫૯૫ કૃત્રિમ બીજદાન કેન્દ્રોની સ્થાપના થઇ છે તેમજ કૃત્રિમ બીજદાનની કામગીરીમાં ૨૭૫.૪૫ ટકા વધારો થયો છે. કૃત્રિમ બીજદાન સાથે જાતીય આરોગ્ય કેમ્પનાં આયોજન દ્વારા પશુઓના જાતીય રોગનાં નિરાકરણ લાવી પશુપાલન વ્યવસાયને નફાકારક બનાવવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. વર્ષ ૨૦૦૮-૦૯ થી વર્ષ ૨૦૨૦-૨૧ સુધીમાં ૩૨,૯૦૦ થી વધુ જાતીય આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
મંત્રીએ કહ્યુ કે, પશુપાલકોના ગાભણ પશુઓની તંદુરસ્તી જળવાય રહે તેમજ ગર્ભમાં રહેલ બચ્ચાનો યોગ્ય વિકાસ થાય અને સારું દૂધ ઉત્પાદન મેળવી શકાય તે માટે રાજ્ય સરકાર દ્રારા પશુપાલકોના ગાભણ પશુઓ માટે ખાણદાણ આપવાની સહાયકારી યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં કુલ રૂ. ૨૬ કરોડના ખર્ચે ૯૧૬૦૦ થી વધુ પશુપાલકોને લાભ આપવામાં આવ્યો છે.
તેમણે ઉમેર્યુ કે, ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ પરિપૂર્ણ કરવા તથા પશુપાલન વ્યવસાય થકી ગ્રામ્ય રોજગારીનું નિર્માણ થાય તે માટે પશુ ચિકિત્સા અને પશુ સંવર્ધનની સાથે પશુપાલકોને ઉચ્ચ કોટીના પશુઓના ઉછેર માટે પ્રોત્સાહન મળે તેમજ વૈજ્ઞાનિક અભિગમથી પશુપાલન વ્યવસાય માટે પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા દૂધ ઉત્પાદન હરીફાઈ, પશુ પ્રદર્શન, જિલ્લા પશુપાલન શિબિર, તાલુકા પશુપાલન શિબિર, અશ્વ શો, પ્રેરણા પ્રવાસ અને તાલીમ તેમજ શ્રેષ્ઠ પશુપાલકોને પુરસ્કાર જેવા અનેકવિધ વિસ્તરણલક્ષી કાર્યક્રમો હાથ ધરાઈ રહ્યા છે. છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યમાં કુલ ૨,૮૨૭ શ્રેષ્ઠ પશુપાલકોને  રૂ. ૧ કરોડ ૮૯ લાખના પુરસ્કાર એનાયત કરવામાં આવેલ છે.
આ પ્રસંગે રાજયકક્ષાના પશુપાલન મંત્રી દેવાભાઇ માલમ, કૃષિ વિભાગના સચિવ મનિષ ભારદ્વાજ, પશુપાલન નિયામક  ફાલ્ગુનીબેન ઠાકર તેમજ પશુપાલન ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

(7:37 pm IST)