Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

અંધવિશ્વાસમાં માનતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્‍સોઃ અમદાવાદમાં કિન્‍નરના વેશમાં આવેલ ગઠીયો મહિલા પાસેથી વિધીના નામે દાગીના-રોકડ રકમ પડાવી છૂમંતર

તમારા ઘરમાં તકલીફ છે, મારામાં માતાજીનો વાસ છે, વિધી કરીને હમણા આવુ છુ પછી રફુચક્કર

અમદાવાદ: ઘરમાં એકલા રહેતી મહિલાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આંબાવાડી વિસ્તારમાં કિન્નરના વેશમાં આવીને ગઠિયાએ છેતરપિંડી કરી મહિલા પાસે થી દાગીના અને રોકડ રકમ પડાવી લીધી છે.આરોપીએ મહિલાને તેના દુઃખ દૂર કરી આપવાની લાલચમાં આવીને વિશ્વાસમાં લીધા હતા. જોકે આ અંગે એલિસ પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

શહેરના એલીસબ્રીજ વિસ્તારમાં આવેલ સુનીતાનગરમાં ભૂમિકા બેન ત્રિવેદી તેમના પરિવાર સાથે રહે છે.14 મી એપ્રીલના દિવસે એક કિન્નર તેમના ઘરે આવ્યા. અને તમારા ઘરમાં હાલમાં બહુ તકલીફ ચાલે છે. તેમ કહીને અલગ અલગ રીતે વિધિ કરવાના બહાને તેમના પાસે થી રોકડ અને દાગીના સહિત રૂપિયા 49 હજાર ની છેતરપિંડી કરી છે.જે અંગે મહિલાએ એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી.

મહિલાએ આ કિન્નરને ચા પીવા માટે ઘરમાં બોલાવ્યા ત્યારે તેણે કહ્યું હતું કે તમારા ઘરમાં હાલ બહુ તકલીફ છે તમારા ઘરની વિધિ કરવી પડશે તેમ કહી દરવાજા બંધ કરાવી દીધા હતા. અને એક ગ્લાસમાં પાણી, કંકુ અને ચોખા માંગ્યા હતા. બાદમાં આ પાણીના ગ્લાસ ને ઘરમાં ફેરવી અને પોતે પી ગયા હતા અને કહ્યું હતું કે તમારા બધા દુઃખ હું પી ગયેલ છું. ઉપરાંત મહિલાએ ઘી માટેના 1100 રૂપિયા આપતા એક રૂપિયો લઈને બીજા રૂપિયા પરત કર્યા હતા અને કહ્યું હતું કે હું તારી પરીક્ષા કરતો હતો કે તું માતાજીને પૈસા આપે છે કે કેમ.

બાદમાં એક રૂમાલ પાથરીને કહ્યું હતું કે તેમાં પૈસા મૂકો અને 3 સોનાના દાગીના મૂકો તેના પર હું વિધિ કરીને આપુ બાદમાં દૂધમાં ધોઈને તે પહેરી લેજો. જેથી મહિલાએ રોકડ રૂપિયા 4,000 અને રૂપિયા ૪૫ હજારની કિંમતના દાગીના મૂક્યા હતા. કિન્નરે જણાવ્યું હતું કે મારામાં માતાજીનો સાક્ષાત વાસ છે આ રૂમાલ મારી થેલીમાં મૂકી દો હું વિધિ કરીને હમણાં બે કલાકમાં આવું છું ત્યાં સુધી તમે જમવાનું બનાવી રાખો. જો કે કલાકો સુધી રાહ જોયા બાદ પણ પરત ફર્યો ના હતો. હાલ માં પોલીસ એ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને CCTV ફૂટેજ ના આધારે તપાસ શરૂ કરી છે.

(6:12 pm IST)