News of Friday, 20th May 2022
અમદાવાદ :આગામી દિવસોમાં ગુજરાતની ધન્ય ધરા પર વિવિધ કાર્યક્રમોના ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન પ્રસંગે ગાંધીનગર મત વિસ્તારના લોકલાડીલા સંસદસભ્ય અને ભારત સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહ પધારી રહ્યા છે. આ તકે તમામ કાર્યક્રમો સુવ્યવસ્થિત અને યોજનાબદ્ધ રીતે થાય તે માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે તમામ સ્થળોએ રૂબરૂ પ્રવાસ કરી કાર્યક્રમ સ્થળોની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત તમામ કાર્યક્રમ સ્થળોના જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરીને આગામી કાર્યક્રમ અંગે વ્યવસ્થા સંદર્ભે તમામ માહિતી મેળવી યોગ્ય સૂચનાઓ આપી હતી.
સૌપ્રથમ સંઘવી તેમના જ વિભાગ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હેઠળ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા તૈયાર થઈ રહેલા અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સ્પોર્ટ્સ સંકુલનું ભૂમિ પૂજન જે અમિતભાઇ શાહ સાહેબના હસ્તે થવાનું છે ત્યારે આ સ્થળોની રૂબરૂ મુલાકાત લઇ કાર્યક્રમની વ્યવસ્થાઓ અંગે તમામ માહિતી મેળવી હતી. આ તકે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ રમત ગમત વિભાગના અધિકારીઓએ સમગ્ર કાર્યક્રમના આયોજન અને વ્યવસ્થા અંગે ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું ધ્યાન દોર્યું હતું
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના હસ્તે નડિયાદ ખાતે પોલીસ હાઉસિંગ આવાસો તેમજ એસ.પી ઓફિસ વગેરેના લોકાર્પણનો કાર્યક્રમ યોજાનાર છે ત્યારે સંઘવી નડિયાદ ખાતે હાજર રહી કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી આ ઉપરાંત કાર્યક્રમની વ્યવસ્થા અંગે કલેકટર કચેરીએ તમામ અધિકારીઓ સાથે બેઠક યોજીને કાર્યક્રમની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી હતી.
આ કાર્યક્રમને ભવ્ય અને સફળ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લાના તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, પ્રભારીમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ઉપસ્થિત રહ્યા હતા. અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સ્વાગત અને કાર્યક્રમને સફળ બનાવવા માટે પાર્ટીના કાર્યકરોને પ્રેરણા આપી હતી.
ત્યારબાદ ભરૂચ ખાતે પ્રવાસ કરી ભરૂચ સર્કિટ હાઉસ ખાતે સંસદસભ્ય જિલ્લા પ્રમુખ અને ભાજપના જિલ્લાના પદાધિકારીઓ સાથે બેઠક યોજીને આગામી યોજનાઓ અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીલક્ષી કાર્યક્રમો અંગે ચિંતન મનન કર્યું હતું.
આમ હર્ષ સંઘવી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિતભાઇ શાહજી ના પ્રવાસ પૂર્વે તમામ વ્યવસ્થાઓ અંગે જાતે નિરીક્ષણ કરી તમામ આયોજનો સુનિશ્ચિત કર્યા હતા.