Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

કમલમમાં બેસવાનો પાટીલનો આદેશ પ્રધાનોને ખૂંચ્યો

પાટીલના સુપર સીએમની જેમ સીધા પ્રધાનોને આદેશ આપવા બદલ રૂપાણી-નીતિન પટેલ-પ્રધાનો નારાજ

નવી દિલ્હી, તા.૨૫: ગુજરાત ભાજપના નવનિયુકત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે વિજય રૂપાણી કેબિનેટના પ્રધાનોને પક્ષના કાર્યકરો અને નાગરિકોને રાજયના પક્ષના વડામથક (ભાજપ કમલમ) પર મળવા અને ત્યાં તેમની ફરિયાદોનું નિરાકરણ લાવવાનું કહ્યું ત્યારબાદ ગુજરાત ભાજપ એક વિચિત્ર સ્થિતિમાં આવી ગઈ છે. પાટીલે સોમવારે કમલમ ખાતે મહેસૂલ મંત્રી કૌશિક પટેલની સાથે આવ્યા હતા અને સૂત્રોએ જણાવ્યું હતું કે મહેસૂલ મંત્રી લોકોની ફરિયાદોનું નિરાકરણ લાવતા હતા ત્યારે પણ તેઓ સક્રિયપણે ભાગ લેતા જોવાયા હતા.

સરકારના એક મંત્રીએ કહ્યું કે, આવી ઘટના (પ્રધાનોને પાર્ટી અધ્યક્ષ સાથે કમલમ પાર્ટીમાં બેસવાની ફરજ પાડવી) ભાજપ સરકારમાં ભૂતકાળમાં કયારેય બની નથી. સીએમ, ડેપ્યુટી સીએમ અને પ્રધાનો સુપર-સીએમની જેમ વર્તન કરવા અને સીધા મંત્રીઓને આદેશો આપવા બદલ પાટીલથી નારાજ છે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે.

મંત્રીએ કહ્યું કે, રાજયમાં નવા પાવર સેન્ટર તરીકે અધિકારીઓ પાટીલ તરફ ઝુકાવવાની શરૂઆત કરી ચૂકયા છે, પરંતુ આવી કાર્યવાહી મુખ્યમંત્રીની સત્તાને સ્પષ્ટપણે નબળી પાડે છે. લોકડાઉન પછી મુખ્યમંત્રીએ મંત્રીઓને દર સોમવારે અને મંગળવારે તેમની સ્વર્ણિમ સંકુલ ઓફિસો પર લોકોને મળવા નિર્દેશ આપ્યો છે. હવે સી આર પાટીલના આદેશથી પાર્ટી વર્કર્સ મૂંઝવણમાં છે કે મુખ્યમંત્રી અથવા પ્રદેશ પ્રમુખ બંનેમાંથી કોનું કહ્યું માનવું? તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ઉમેરે છે.

કોંગ્રેસનું કહેવું છે કે મુખ્યમંત્રી, ડેપ્યુટી સીએમ અને મંત્રીઓએ ભાજપના નહીં પણ બંધારણની નિષ્ઠાના શપથ લીધા છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી અને મંત્રીઓ બંધારણીય અધિકારીઓ છે. ઘણાં નાગરિકો અને કોંગ્રેસના ધારાસભ્યો ભાજપના મુખ્ય મથક પર મુખ્યમંત્રી અથવા મંત્રીઓને મળવા કયારેય નહીં જાય. મુખ્યમંત્રી અને મંત્રીઓ લોકોને મળી શકે તે માટે સ્વર્ણિમ સંકુલના નિર્માણ માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. પાટીલ તેની મજાક ઉડાવી રહ્યા છે.

ચાવડાએ ઉમેર્યું હતું કે મુખ્યમંત્રીએ તેમના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને સી આર પાટીલના કમલમ ખાતે મંત્રીઓને નાગરિકોને મળવા માટે આપેલી સૂચના બંધ કરવી જોઈએ. તેમણે આરોપ મૂકયો કે આ પ્રથા ભ્રષ્ટાચારને પણ ઉત્પન્ન કરશે.

(9:49 am IST)