Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

સરકારની અનેકવિધ યોજનાઓના લાભો લઇને છેવાડાના લોકો આત્મનિર્ભર બન્યાં છે : કુલદીપસિંહ ગોહિલ

પ્રધાનમંત્રી આવાસ યોજના અને સ્ટ્રીટ વેન્ડર એક્ટ-૨૦૧૪ અંતર્ગત શહેરી ફેરિયાઓને પ્રતિક રૂપે કુલ-૧૬ લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયાં: નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલના અધ્યક્ષપદે રાજપીપલાના સરદાર ટાઉન હોલ ખાતે "સુશાસન સપ્તાહનો" કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :રાજ્ય સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે ૨૫ મી ડિસેમ્બર થી ૩૧ મી ડિસેમ્બર,૨૦૨૧ સુધી હાથ ધરાયેલ રાજ્યવ્પાપી “સુશાસન સપ્તાહની ઉજવણી” ના ભાગરૂપે આજે બીજા દિવસે રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ  કુલદીપસિંહ ગોહિલ, ઉપપ્રમુખ હેંમતભાઈ માછી, પ્રાંત અધિકારી  કે.ડી.ભગત, ચીફ ઓફીસર રાહુલભાઈ ઢોડીયા, નગરપાલિકાના સદસ્ય વિરેન્દ્રસિંહ ગોહિલ અને આશિષભાઈ ડબગર,લીલાબેન વસાવા,મીરાંબેન કહાર અને ધર્મિષ્ઠાબેન પટેલ સહિત લાભાર્થીઓ વગેરેની ઉપસ્થિતિમાં રાજપીપલાના સરદાર ટાઉન હોલ ખાતે  સુશાસન સપ્તાહ અંતર્ગત Good Governance ની  ઉજવણીના ભાગરૂપે “શહેરી વિકાસ”  કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુક્યો હતો.

રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે પ્રસંગોચિત ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, સ્વ અટલ બિહારી વાજપેયીજીના સિધ્ધાંતોને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આગળ ધપાવી રહ્યા છે. સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજવ્લા યોજના સહિત અનેકવિધ યોજનાઓનો લાભો લઇને છેવાડાના લોકો આત્મનિર્ભર બન્યાં છે. દરેક નાગરિકને પોતાના ઘરનું ઘર મળે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભો આપવામાં આવતા હોવાની સાથે નર્મદા જિલ્લામાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૩૬૪  લાભાર્થીઓને સહાયના  મંજૂરી હુકમો અપાયા હોવા ઉપરાંત પી. એમ. સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી ફેરિયાઓને રૂ.૧૦ હજારની લોન આપવામાં આવતી હોવાની સાથોસાથ સરકારની અનેકવિધ યોજનાઓના લાભો લઇને આત્મનિર્ભર બનવાની શ્રી ગોહિલે હિમાયત કરી હતી
આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના અને  સ્ટ્રીટ વેન્ડર એક્ટ-૨૦૧૪  અંતર્ગત શહેરી ફેરિયાઓને પ્રતિક રૂપે કુલ-૧૬ લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતાં.
સુરત ખાતેથી યોજાયેલા રાજ્યકક્ષાના  સુશાસન ઉજવણીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સહુ કોઈએ નિહાળ્યું હતું. પ્રારંભમાં રાજપીપલાના ચીફ ઓફીસર રાહુલભાઈ ઢોડિયાએ શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.અંતમાં હેમરાજભાઈ રાઠોડે  આભા દર્શન કર્યું હતું.

(10:32 pm IST)