Gujarati News

Gujarati News

News of Monday, 27th December 2021

અમદાવાદ કોર્પોરેશન દ્વારા 65 હજાર ચો.મી. વિસ્‍તારમાં કોરોના ગાઇડલાઇન મુજબ ફલાવર શોનું આયોજન કરાશેઃ 65 મુખ્‍ય અને 750 પેટા પ્રજાતિના 7 લાખથી વધુ ફુલ-છોડ અને રોપા જોવા મળશે

એક કલાકમાં 400 લોકોને જ પ્રવેશ અપાશેઃ ઓનલાઇન અને ઓફલાઇન ટિકીટની સુવિધા

અમદાવાદ: કોરોના અને ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકાને ફ્લાવર શો કરવો છે. કોરોનાના વધતા કેસની ચિંતા કરવાના બદલે AMCને તાયફા સૂઝી રહ્યા છે. કોરોના મહામારી વચ્ચે પણ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ફલાવર શો 2022નું આયોજન કરાયું છે. કોરોના ગાઇડ લાઇન સાથે ફલાવર શો કરવાની AMCએ તાડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 65 હજાર ચો.મી. વિસ્તારમાં ફલાવર શો કરવાનું આયોજન છે.

જાણવા મળી રહ્યું છે કે આ વખતે ફ્લાવર શોમાં વેકિસન થીમ પર ફ્લાવર શોનું આયોજન વેકિસન ફુલની પ્રતિકૃતિ ઉભી કરાશે. ઓલમ્પિક ગેમ્સમાં ભારતે મેળવેલ પદકોની રમતના સ્કલ્પચર પણ ઉભી કરી સન્માન અપાશે. ફલાવર શોમાં 65 મુખ્ય પ્રજાતિ અને 750 પેટા પ્રજાતિ સાત લાખની વધુ ફુલ છોડ અને રોપા હશે. 100 થી વધુ મેડિસીલન (આર્યુવેદિક) રોપા પ્રદર્શિત કરાશે. શિયાળાની ઋતુના વધુ ફુલ આપતા પિડુનિયા, ડાયન્થસ, પેન્ઝી , સાંવલિયા સહિત અનેક પ્રકારના રંગબેરંગી સિઝન ફુલ, જૂદા જૂદા થીમ બેઝ પ્રાણી સ્કલ્પચર, સેલ્ફ ઝોન ઉભા કરાશે. ઓનલાઇન ટીકીટ બુક કરી નાગરિકો ફ્લાવર શોની મુલાકાત લઇ શકશે.

નોંધનીય છે કે ઓમિક્રોન અને કોરોના વચ્ચે ફ્લાવર શોના આયોજનમાં ઓનલાઈન અને ઓફલાઇન ટીકીટનું વેચાણ કરવામાં આવશે. સરકારની ગાઈડલાઈન મુજબ એક એક કલાકમાં પ્રવેશ આપવામાં આવશે. કોરોના મહામારીના કારણે એક કલાકની અંદર 400 લોકોને જ પ્રવેશ આપવામાં આવશે.

કાંકરિયા કાર્નિવલ નહીં યોજાય

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમા આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલ નહીં યોજાય. Amcની રિક્રિએશન કમિટીએ આ મહત્વનો નિર્ણય લીધો હતો. 25 થી 31 ડિસેમ્બર દરમ્યાન કાંકરિયા કાર્નિવલ યોજાતો હોય છે. કોરોના પરિસ્થિતના કારણે આ વર્ષે નહીં યોજવાનો નિર્ણય લેવાયો છે. અગાઉ ચર્ચા ચાલી હતી કે કૉર્પોરેશન દ્વારા ફ્લાવર શો ની તૈયારી શરૂ કરાઇ છે, પરંતુ કોરોનાનાં કેસ નહિ વધે તો ફ્લાવર શો યોજાશે. 1 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન ફ્લાવર શો યોજાશે.

(5:03 pm IST)