Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં દલિત અને મુસ્‍લિમ મતોને અંકે કરવા અસુદીન ઔવેસીની પાર્ટી એઆઇએમઆઇએમ ૪૦ થી ૪પ સીટ ઉપર ઉમેદવારોને ઉતારવાનો ટાર્ગેટ

લોકોનો મજબુત અને સ્‍વતંત્ર અવાજ બનીને ઉભરશેઃ આશા વ્‍યકત કરતા ઔવેસી

અમદાવાદ :ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે પહેલીવાર એવું થશે કે ચાર રાજકીય પાર્ટીઓ મેદાનમાં ઉતરશે. 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં અસુદ્દીન ઔવેસીની પાર્ટી AIMIM મોટું પ્લાનિંગ કરવા જઈ રહી છે. આ ચૂંટણીમાં દલિત અને મુસ્લિમ વોટને ટાર્ગેટ કરીને AIMIM પહેલીવાર 40 થી 45 સીટ પર ઉમેદવારોને ઉતારવા પર ટાર્ગેટ કરી રહી છે. 

AIMIM એ અત્યાર સુધી 30 સીટ પર પોતાના ઉમેદવાર ઉતારવાનો નિર્ણય કરી ચૂક્યુ છે. પરંતુ આ આંકડો વધી શકે છે તેવુ સૂત્રોનું કહેવું છે. AIMIM અત્યાર સુધી પાંચ સીટ પર ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં સુરત પૂર્વથી વસીમ કુરેશી, લિંબાયત સીટથી અબ્દુલ બશીર, જમાલપુર ખાડિયા સીટથી શાબિર કાબલીવાલા, દાણીલીમડાથી કૌશિક પરમાર અને બાપુનગર સીટથી શાહનવાઝ ખાનને મેદાનમાં ઉતાર્યા છે. આ પર ઔવેસીનું કહેવું છે કે, AIMIM ગુજરાતના લોકોની મજબૂત અને સ્વતંત્ર અવાજ બનીને ઉભરશે. 

ગુજરાતમાં અત્યાર સુધી ત્રિકોણીય જંગ હતો, પરંતું હવે આ જંગમાં AIMIM ની એન્ટ્રી થઈ છે. AIMIM મુસ્લિમ વોટર્સને તોડશે કે નહિ તેનો ભય હાલ લાગી રહ્યો છે. 

તો ગુજરાત કોંગ્રેસના મીડિયા ઇન્ચાર્જ આલોક શર્માએ ભાજપ અને AIMIM ઉપર આક્ષેપ કરતા કહ્યું કે, જ્યાં જ્યાં ચૂંટણી હોય છે ત્યાં આ બંને પક્ષ મતોનું ધ્રુવીકરણ કરે છે. AIMIM દરેક જગ્યાએ ભાજપની મદદ કરે છે. ભાજપને એક ચોક્કસ સમુદાયના કારણે નુકશાન થતું હોય ત્યાં AIMIM મદદ કરે છે. ગુજરાતમાં ભાજપના કાર્યાલયમાં AIMIMના નેતાની ગુપ્ત મિટિંગ મળી હતી. ભાજપની ડુબતી નાવડીને બચાવવા AIMIM આવ્યુ છે. આ બાબતથી ગુજરાતની જનતાએ સતર્ક રહેવાની જરૂર છે. 

(1:30 pm IST)