Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

રોબર્ટ વાડ્રાને કોરોના થતા પ્રિયંકા ગાંધી આઈસોલેટ

પ્રચારમાં વ્યસ્ત નેતાઓને કોરોનાનો ભરડો :પ્રિયંકા ગાંધી નો કોરોના રિપોર્ટ નેગેટિવ, ડોક્ટર્સની સલાહથી થોડા દિવસ ચૂંટણી પ્રચારથી અળગા રહેવાની જાહેરાત

નવી દિલ્હી, તા. ૨ : દેશમાં કોરોનાના સંક્રમણથી મચેલા હાહાકાર વચ્ચે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર ચાલી રહ્યો છે.જેમાં હજારો લોકો ઉમટી રહ્યા છે તો નેતાઓ પણ પૂરજોશમાં કોરોનાની ચિંતા કર્યા વગર પ્રચાર કરી રહ્યા છે.

આ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ વકરી શકે છે તેવી ચિંતાઓ વચ્ચે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પણ કોરોના પોઝિટિવ થયા છે.જેના પગલે  પ્રિયંકા ગાંધી પણ આઈસોલેટ થયા છે.ખુદ પ્રિયંકા ગાંધીએ આજે સોશિયલ મીડિયા પર આ વાતની જાહેરાત કરી હતી.

તેમણે કહ્યુ હતુ કે, કોરોનાના સંક્રમણના દાયરામાં આવવાના કારણે મેં મારો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.જોકે મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.આમ છતા ડોક્ટરોએ સલાહ આપી હોવાથી હું આગામી કેટલાક દિવસો સુધી આઈસોલેશનમાં રહીશ.જેના કારણે હું આગામી કેટલાક દિવસો સુધી ચૂંટણી પ્રચાર નહીં કરી શકું.જેના કારણે મારો આસામ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. અહીંયા જે ઉમેદવારો માટે હું પ્રચાર કરવાની હતી તેમના માટે હું દીલગીરી વ્યક્ત કરુ છું પણ મને આશા છે કે, આ ઉમેદવારો વિજયી બનશે અને કોંગ્રેસ પણ વિજેતા બનશે.

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ગાંધીની આજે આસામની ત્રણ રેલી પણ રદ કરાઈ છે.દરમિયાન રોબર્ટ વાડ્રાએ પણ કહ્યુ હતુ કે, હું કોરોના પોઝિટવના સંપર્કમાં આવ્યા બાદ સંક્રમિત થયો છું.જોકે મને કોઈ લક્ષણો દેખાયા નથી.સદનસીબે બાળકો અમારી સાથે નથી અને ઘરના બાકી સભ્યોનો રિપોર્ટ પણ નેગિટિવ આવ્યો છે.

(8:15 pm IST)