Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

બે ખ્રિસ્તી સિસ્ટર સાથે ખરાબ વર્તન કરનારા બેની ધરપકડ

બે સપ્તાહ પહેલાંની ઘટનામાં પોલીસનાં પગલાં : યુવકોએ ધર્મ પરિવર્તનની શંકા રેલવે પોલીસ સમક્ષ વ્યક્ત કરતા ટ્રેન ઝાંસી પહોંચી ત્યારે સિસ્ટરની પૂછપરછ કરાઈ

લખનૌ, તા. ૨ : બે ખ્રિસ્તી સાધ્વીઓને પરેશાન કરનારા બે યુવકોની આખરે યુપી પોલીસે ધરપકડ કરી છે. બે સપ્તાહ પહેલા આ ઘટના બની હતી.પકડવામાં આવેલા યુવકોની ઓળખ પણ થઈ છે.જેમાંથી એક રાષ્ટ્રભક્ત સંગઠનના અધ્યક્ષ આંચલ અરજરિયા અને બીજો હિન્દુ જાગરણ મંચનો સચિવ પુરગેશ અમારિયા છે.

ઝાંસી પોલીસના પ્રવક્તાના કહેવા પ્રમાણે ૧૯ માર્ચે આ બંને યુવકોએ ઉત્કલ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી સાધ્વીઓ અને બીજી કિશોરીઓ સાથે ખરાબ વર્તન કર્યુ હતુ.આ બંને સાધ્વીઓ લિવિયા થોમસ અને હેમલતા પોતાની સાથે બે બીજી કિશોરીઓ શ્વેતા અને વિતરંગની સાથે દિલહીથી રુકેલા જઈ રહી હતી.ટ્રેનના બીજા ડબ્બામાં એબીવીપીના નેતા અજય તિવારી પણ મુસાફરી કરી રહ્યા હતા.

સાધ્વીઓની સાથે બે કિશોરીઓને જોઈને તેમણે ધર્મ પરિવર્તનની શંકા રેલવે પોલીસ સમક્ષ વ્યક્ત કરી હતી.એ પછી ટ્રેન ઝાંસી પહોંચી ત્યારે સાધ્વીઓની ૩ કલાક પૂછપરછ કરાઈ હતી .એબીવીપીના નેતાની શંકા નિરાધાર લાગતા સાધ્વીઓને પોલીસે જવા દીધી હતી.

આ દરમિયાન ઉપરોક્ત બે યુવકોએ સાધ્વીઓને ટ્રેનમાંથી ઉતરવા માટે મજબૂર કરી હતી અને તેમની સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો.જોકે આ ઘટનાને લઈને આક્રોશ ફેલાયો હતો.કેરાલાની ચર્ચે સરકાર સમક્ષ સમગ્ર મામલાની તપાસ કરવા માંગ કરી હતી.જેના પગલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તપાસનો આદેશ આપ્યો હતો.

 

(8:10 pm IST)