Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા જયવીર શેરગિલ હવે બીજેપીના નવા પ્રવક્તા બનશે

ભાજપે કોંગ્રેસ છોડીને આવેલા કેટલાક અગ્રણી નેતાઓ માટે નવી ભૂમિકાની જાહેરાત કરી: પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનીલ જાખરને ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય બનાવ્યા: મદન કૌશિક, વિષ્ણુદેવ સાંઈ, એસ રાણા ગુરમીત સિંહ સોઢી, મનોરંજન કાલિયા અને અમનજીત કૌર વાલિયાને રાષ્ટ્રીય કાર્ય સમિતિમાં વિશેષ આમંત્રિત

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા જયવીર શેરગિલ બીજેપીના નવા પ્રવક્તા બનશે. ભારતીય જનતા પાર્ટીમાં કેપ્ટન અમરિંદર સિંહ, સુનીલ જાખડ અને સ્વતંત્ર દેવ સિંહને રાષ્ટ્રીય કાર્ય સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. મદન કૌશિક, વિષ્ણુદેવ સાંઈ, એસ રાણા ગુરમીત સિંહ સોઢી, મનોરંજન કાલિયા અને અમનજીત કૌર વાલિયાને રાષ્ટ્રીય કાર્ય સમિતિમાં વિશેષ આમંત્રિત કરવામાં આવ્યા છે.

ગાંધી પરિવાર વિરુદ્ધ આકરી ટિપ્પણી કરીને કોંગ્રેસમાંથી બહાર નીકળ્યાના ત્રણ મહિના બાદ ભાજપે શુક્રવારે જયવીર શેરગીલને પ્રવક્તા તરીકે નિયુક્ત કર્યા છે. ભાજપે કોંગ્રેસ છોડીને આવેલા કેટલાક અગ્રણી નેતાઓ માટે નવી ભૂમિકાની જાહેરાત કરી છે.

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનીલ જાખરને ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય બનાવવામાં આવ્યા છે.

પાર્ટીએ સંગઠનમાં ઉત્તર પ્રદેશના મંત્રી સ્વતંત્ર દેવ સિંહ, ઉત્તરાખંડ ભાજપના ભૂતપૂર્વ વડા મદન કૌશિક, ભૂતપૂર્વ કૉંગ્રેસ નેતા રાણા ગુરમીત સિંહ સોઢી અને પંજાબના ભૂતપૂર્વ પ્રધાન મનોરંજન કાલિયાને પણ સંગઠનમાં નવી જવાબદારીઓ સોંપી છે.

કોંગ્રેસને કડવી વિદાય આપતી વખતે જયવીર શેરગીલે ગાંધી પરિવાર વિશે કહ્યું હતું કે, “પાર્ટીના નિર્ણય લેનારાઓ પાસે હવે સંકલનનું વિઝન નથી. યુવાનોની આકાંક્ષાઓની વિરૂદ્ધ ચમચાઓ કોંગ્રેસને ઉધઈની જેમ ખાઈ રહી છે. ”

તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે ગાંધી પરિવારના ત્રણ સભ્યો એક વર્ષથી વધુ સમયથી તેમને મળવાનો ઇનકાર કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેમણે પાર્ટી સાથે “તમામ સંબંધો તોડી નાખ્યા છે”. શેરગિલ 39 વર્ષીય વકીલ છે, જે કોંગ્રેસના સૌથી યુવા અને સૌથી અગ્રણી પ્રવક્તાઓમાંના એક હતા.

કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ ગુલામ નબી આઝાદ અને આનંદ શર્માએ ઓગસ્ટમાં તેમના ગૃહ રાજ્યોમાં પાર્ટીના હોદ્દા પરથી રાજીનામું આપ્યા બાદ તેઓ રાજીનામું આપનારા ત્રીજા નેતા હતા.

અમરિંદર સિંહે ગયા વર્ષે નવેમ્બરમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને આ વર્ષે પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા એક નવી પાર્ટી શરૂ કરી હતી. બાદમાં તેમણે પોતાની પાર્ટીને બીજેપીમાં ભેળવી દીધી. સુનીલ જાખરે મે મહિનામાં કોંગ્રેસ છોડી દીધી હતી.

છેલ્લા કેટલાક વર્ષોમાં કોંગ્રેસે ચૂંટણીમાં હાર અને સંગઠનમાં અણબનાવના કારણે ઘણા નેતાઓ ગુમાવ્યા છે. 2020માં જ્યોતિરાદિત્ય સિંધિયા જે હવે કેન્દ્રીય પ્રધાન છે, અને યુપીના પ્રધાન જિતિન પ્રસાદની બહાર નીકળવાની શરૂઆત થઈ હતી. તે જ વર્ષે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીઓ કપિલ સિબ્બલ, અશ્વિની કુમાર અને આરપીએન સિંહે પાર્ટી છોડી દીધી હતી.

(6:07 pm IST)