Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

બીજી લહેર ખતમ નથી થઈ, ૩૮ જિલ્લાઓમાં ૧૦૦ કેસ

કોરોનાની સ્થિતિ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે માહિતી આપી : કેરળની સ્થિતિ અત્યંત ચિંતાજનક, દેશમાં કુલ સક્રિય કેસમાં ૬૧ ટકા કેરલ અને મહારાષ્ટ્રમાં ૧૩ ટકા

નવી દિલ્હી, તા. : દેશમાં કોરોનાના સૌથી વધુ નવા કેસ કેરલ રાજ્યમાંથી સામે આવી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યુ કે, દેશમાં છેલ્લા ૨૪ કલાકની અંદર ૪૩,૨૬૩ નવા કેસ સામે આવ્યા અને તેમાંથી ૩૨ હજાર કેસ માત્ર કેરલ રાજ્યમાં નોંધાયા છે. પાછલા સપ્તાહે આવેલા કોરોના વાયરસના કુલ નવા કેસમાં આશરે ૬૮ ટકા કેસ કેરલથી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે આગળ કહ્યુ કે, દેશમાં કોરોના કેસમાં ઘટાડો ૫૦ ટકાથી થોડો ઓછો છે, જે પ્રથમ લહેરમાં હતો. તેમણે કહ્યું કે, દેશમાં હજુ કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે, જે ખતમ થઈ નથી.

સાથે તેમણે કહ્યું કે, દેશમાં માત્ર ૩૮ જિલ્લામાં દરરોજ ૧૦૦થી વધુ કેસ આવી રહ્યાં છે. દેશમાં કુલ સક્રિય કેસમાં ૬૧ ટકા કેરલ અને મહારાષ્ટ્રમાં ૧૩ ટકા છે. કર્ણાટક, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં ૧૦,૦૦૦થી વધુ અને ૫૦,૦૦૦થી વધુ સક્રિય કેસ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે કહ્યુ કે, આવનારા તહેવારો પહેલા આપણે રસીકરણની ગતિ વધારવી પડશે. આપણે દેશમાં અત્યાર સુધી રસીના ૭૨ કરોડ ડોઝ આપ્યા છે. મેમાં એવરેજ ૨૦ લાખ ડોઝ દરરોજ લાગતા હતા, આજે સપ્ટેમ્બરમાં આપણે ૭૮ લાખ ડોઝ દરરોજ લગાવી રહ્યાં છીએ.

દેશમાં ઝડપી રસીકરણ અભિયાન પર નીતિ આયોગના સભ્ય ડોક્ટર વીકે પોલે જણાવ્યુ કે, અત્યાર સુધી ૧૮ વર્ષથી વધુ ઉંમરના ૫૮ ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવી ચુક્યો છે, તેમાંથી ૧૮ ટકાએ વેક્સિનનો બીજો ડોઝ પણ લઈ લીધો છે. સાથે તેમણે કહ્યું કે, અમે સક્રિય રૂપથી બાળકો પર વેક્સિનના સંભવિત ઉપયોગની વૈજ્ઞાનિક પુષ્ટિની દિશામાં કામ કરી રહ્યાં છીએ. બાળકોમાં સંભવિત ઉપયોગ માટે એક વેક્સિન ઉપલબ્ધ થઈ છે. સ્કૂલ ખોલવા માટે બાળકોને વેક્સિન લાગે તે માપદંડ દુનિયામાં કોઈ માનતું નથી.

(7:46 pm IST)