Gujarati News

Gujarati News

News of Tuesday, 13th September 2022

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં ભગવાન શ્રીનાથજીની પુજા-અર્ચના કરી

ધીરૂભાઇ અંબાણી અને કોકિલાબેન અંબાણીથી શરૂ કરીને સમગ્ર અંબાણી પરિવાર ભગવાન શ્રીનાથજીમાં અપાર શ્રધ્‍ધા ધરાવે છે

નાથદ્વારા,તા. ૧૩ : ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી શ્રીનાથજીમાં ઘણી જ આસ્‍થા ધરાવે છે. મુકેશ અંબાણીએ તાજેતરમાં નાથાદ્વારામાં શ્રીનાથજીના દર્શન કર્યા હતા. ધીરૂભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીથી શરૂ કરીને સમગ્ર અંબાણી પરિવાર ભગવાન શ્રીનાથજીમાં અપાર શ્રદ્ધા ધરાવે છે. તેઓ પુષ્ટી માર્ગના અનુયાયી છે. તેથી જ મુકેશ અંબાણીએ પોતાની પુત્રી ઈશાના લગ્નની શરૂઆત શ્રીનાથજીની મહાઆરતી સાથે કરી હતી. તેમના પત્‍ની નીતા અંબાણીએ મધુરાષ્ટકમ પર નૃત્‍ય કર્યું હતું. અંબાણી પરિવાર કોઈ પણ મોટા કાર્યની શરૂઆત પહેલા નાથદ્વારા આવીને ભગવાન શ્રીનાથજીના આશીર્વાદ મેળવે છે.

તિલકાયત મહારાજે જણાવ્‍યું હતું કે, ધીરૂભાઈ અંબાણી અને કોકિલાબેન શ્રીનાથજીમાં અપાર શ્રદ્ધા ધરાવે છે અને મુકેશ અંબાણીના પરિવારે પણ આ વારસો જાળવી રાખ્‍યો છે. તેઓ પુષ્ટી માર્ગને અનુસરી રહ્યા છે. મુકેશ અંબાણી અને રાધિકાએ શ્રીનાથજીના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. તેમણે તે પણ કહ્યું હતું કે અંબાણી પરિવારની નવી પેઢી પણ શ્રીનાથજીમાં શ્રદ્ધા ધરાવે છે.

નોંધનીય છે કે અંબાણી પરિવારમાં કોઈ પણ નવું કાર્ય કરવાનું હોય તે પહેલા તેઓ શ્રીનાથજીના દર્શન લેવા માટે ચોક્કસથી નાથદ્વારા આવે છે. તેમણે પોતાની પુત્રી ઈશા અંબાણીના લગ્નની શરૂઆતમાં જ ભગવાન શ્રીનાથજીની મહાઆરતીથી કરી હતી. આ ઉપરાંત લગ્ન પહેલા પણ તેઓ શ્રીનાથજી આવ્‍યા હતા અને ભગવાનના દર્શન કરીને આશીર્વાદ મેળવ્‍યા હતા.

તિલકાયત મહારાજ અને તેના પુત્ર વિશાલ બાવાએ જણાવ્‍યું હતું કે મુકેશ અંબાણીના પુત્ર અનંત પણ શ્રીનાથજીના દર્શને નિયમિત આવતા રહે છે. મુકેશ અંબાણીના સંતાનો આકાશ, અનંત અને ઈશા પણ નિયમિ રીતે નાથદ્વારા આવીને ભગવાન શ્રીનાથજીના દર્શન કરીને તેમના આશીર્વાદ મેળવે છે. મુકેશ અંબાણીનો નવો પ્રોજેક્‍ટ ૫જી નેટવર્ક અંગેનો છે. તેઓ ભારતમાં ૫જી નેટવર્કનું લોન્‍ચ કરવી શકે છે. તેથી કદાચ તેઓ આ પ્રોજેક્‍ટની શરૂઆત પહેલા શ્રીનાથજીના આશીર્વાદ લેવા માટે પણ આવ્‍યા હોઈ શકે છે. તેમની રિલાયન્‍સ જિયોની કમાન તેમની પુત્રી ઈશા અને પુત્ર આકાશના હાથમાં છે.

(10:42 am IST)