Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

સિદ્ધુએ કેજરીવાલને 'પ્રવાસી પક્ષી' ગણાવ્યા : કહ્યું ખોટા વચનો આપીને લોકોને લલચાવે છે

સિદ્ધુએ કહ્યું-કેજરીવાલ પાસે રાજ્ય માટે કોઈ રોડમેપ નથી અને તેઓ પંજાબને દિલ્હીથી દૂરથી ચલાવવા માગે છે:કેજરીવાલની કેબિનેટમાં એક પણ પંજાબી નથી, તો તે પંજાબના ભલા વિશે કેવી રીતે વિચારી શકે

નવી દિલ્હી : પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ  પર કટાક્ષ કર્યો અને તેમને “પ્રવાસી પક્ષી” ગણાવ્યા. સિદ્ધુએ કહ્યું કે તે ઘણા રાજ્યોમાં જઈને ખોટા વાયદા કરીને લોકોને લલચાવે છે.

સિદ્ધુએ તેમના નિવાસસ્થાને એક પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીના મુખ્યમંત્રી પર પંજાબના લોકોને પણ ખોટા વચનો આપવાનો આરોપ લગાવ્યો. તેમણે દાવો કર્યો હતો કે કેજરીવાલ પાસે રાજ્ય માટે કોઈ રોડમેપ નથી અને તેઓ પંજાબને દિલ્હીથી દૂરથી ચલાવવા માગે છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે કેજરીવાલની કેબિનેટમાં એક પણ પંજાબી નથી, તો તે પંજાબના ભલા વિશે કેવી રીતે વિચારી શકે. AAP ના ‘જનતા ચુનેગી અપના મુખ્યમંત્રી’ અભિયાન વિશેના પ્રશ્નના જવાબમાં, ભૂતપૂર્વ ક્રિકેટરે તેને ‘નાટક’ ગણાવ્યું.

 

તેમણે કહ્યું, ‘ભગવંત માનને મૂર્ખ બનાવવા માટે આ ખેલ કરવામાં આવી રહ્યો છે. મને મારા જૂના મિત્ર માન માટે ખૂબ માન છે જે મને ગુરુ કહે છે. દિલ્હીમાં કેજરીવાલે જનતા પાસેથી આવો અભિપ્રાય માંગ્યો ન હતો અને મુખ્યમંત્રીની ખુરશી પર બેસવામાં થોડો સમય પણ ન લગાવ્યો.

પંજાબમાં કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદીની જાહેરાત બાદ કેટલાક નેતાઓ બળવો કરી રહ્યા છે તે અંગે પૂછવામાં આવતા સિદ્ધુએ કહ્યું કે, તેઓ તે નેતાઓને પાર્ટીને સમર્થન આપવાની અપીલ કરે છે અને જો જરૂર પડશે તો તેઓ સાથે મળીને તેમને સંતુષ્ટ કરવાનો પ્રયાસ કરશે.

 

આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ મંગળવારે પંજાબ માટે મુખ્યમંત્રીપદના ચહેરાની જાહેરાત કરશે. સોમવારે મીડિયાને સંબોધતા પાર્ટીના પંજાબ મામલાના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે આવતીકાલે (18 જાન્યુઆરી) મુખ્યમંત્રીના ચહેરા અંગેની તમામ શંકાઓ દૂર થઈ જશે. મંગળવારે અરવિંદ કેજરીવાલ પંજાબ આવી રહ્યા છે અને લોકો પાસેથી મળેલા અભિપ્રાય અનુસાર સત્તાવાર રીતે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરશે.

કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા, પંજાબ વિધાનસભાની જાહેર કરેલી ચૂંટણીની તારીખ બદલી છે. હવે પંજાબમાં આગામી 14 ફેબ્રુઆરીને બદલે 20 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે તેમ જાહેર કર્યુ છે. કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ પંજાબના પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ રજુઆત કરી હતી કે, અગાઉ જાહેર કરેલ મતદાનની તારીખે, ગુરુ રવિદાસ જયંતિ છે અને આ અવસર પર દલિત સમુદાયના ઘણા લોકો વારાણસી અને અન્ય તીર્થસ્થળો પર ગુરપરબ મનાવવા જાય છે.

આ સ્થિતિમાં તેમના માટે મતદાનના દિવસે પંજાબમાં રહેવું મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચે ચૂંટણીની તારીખ બદલવા પર વિચાર કરવો જોઈએ. પંજાબના મુખ્યપ્રધાન બાદ, ભાજપે પણ ચૂંટણીની તારીખ બદલવા કેન્દ્રીય ચૂંટણીપંચને રજૂઆત કરી હતી.

(1:07 am IST)