Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

છોકરીઓની લગ્નની વય ૨૧ વર્ષ કરવાનો નિર્ણય પ્રગતિશીલ કે મુશ્કેલી સર્જનારો?

નિષ્ણાતો અને સામાજિક કાર્યકરો વચ્ચે વિચારોના ફાંટા પડયા

નવી દિલ્હી, તા.૧૭: હવે દેશમાં છોકરીઓની લગ્ન માટેની ન્યૂનતમ ઉંમર ૧૮થી વધારીને ૨૧ કરવાના પ્રસ્તાવને કેંદ્રીય કેબિનેટની મંજૂરી મળી છે. કાયદામાં મોટો સુધારો લાવવાની તૈયારી સરકારે કરી દીધી છે ત્યારે આ મુદ્દે નિષ્ણાતો અને એકિટવિસ્ટો બે ભાગમાં વહેંચાઈ ગયા છે.

સંસદમાં આ બિલ પાસ થવાનું હજી બાકી છે ત્યારે લગ્નની ઉંમરમાં કોઈપણ ફેરફાર થશે તો તેના પડદ્યા દૂર સુધી સંભળાશે. બાળવિવાહ સામે કાયદાઓ છે તેમ છતાં નાની ઉંમરે થઈ જતાં લગ્નો વર્ષોથી ચિંતાનો વિષય છે. ૨૦ થી૨૪ વર્ષની ૨૩.૩ ટકા જેટલી યુવતીઓ એવી છે જેમના લગ્ન તેમની ઉંમર ૧૮ (છોકરીઓની લગ્ન માટેની કાયદાકીય ઉંમર) થઈ તે પહેલાં જ કરાવી દેવાયા હતા. આ આંકડો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે- ૫ (૨૦૧૯-૨૧) દ્વારા મળ્યો છે. ૨૦૧૫-૧૬માં આ ટકાવારી ૨૬.૮% જેટલી ઊંચી હતી. લેટેસ્ટ સર્વે પરથી જાણવા મળ્યું છે કે, બાળલગ્નની સમસ્યા ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં વધારે છે. ગ્રામ્ય વિસ્તારોમાં આ આંકડો ૨૭ ટકા છે જયારે શહેરી વિસ્તારોમાં કુલ લગ્નના ૧૪.૭ ટકા લગ્નો બાળવિવાહ છે.

પ્રસ્તાવિત કાયદા દ્વારા મહિલાઓ અને પુરુષોની લગ્નની ઉંમર સરખી થઈ જશે ત્યારે સરકાર આ પગલાંને જાતીય સમાનતાના બંધારણ તરીકે જોઈ રહી છે. ભારત વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે ત્યારે મહિલાઓ માટે ઉચ્ચ અભ્યાસ કરવાની અને કરિયર બનાવાની ઉજળી તક ખુલશે. માતૃ મૃત્યુદર, બાળ મૃત્યુદરમાં ઘટાડો કરવા તેમજ જન્મ સમયે લિંગ ગુણોત્ત્।રમાં સુધારો કરવા માટે આ અત્યાવશ્યક છે. પ્રસ્તાવિત કાયદાને લાગુ કરવા માટે આ તમામ મહત્વના કારણો છે, તેમ વિશ્વસનીય સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે. તદુપરાંત, લગ્ન પહેલા છોકરીમાં માનસિક પુખ્તતા આવી જાય તે માટે પણ આ પગલાને મહત્વનું ગણવામાં આવી રહ્યું છે.

એક વર્ગ આ નિર્ણયને મહિલા સશકિતકરણનું પ્રગતિશીલ પગલું ગણાવી રહ્યો છે, જે 'પસંદગી'નો હક પણ આપે છે. ત્યારે એકિટવિસ્ટોનો એક વર્ગ એવો છે જેમને લાગે છે કે, ગરીબ પરિવારોમાં સુધારેલા કાયદાથી સંભવિત રીતે અપરાધીકરણ વધી શકે છે કારણકે, પરિસ્થિતિને વશ થઈને તેઓ પોતાની દીકરીઓને ૧૮ વર્ષથી વધુની પણ ૨૧થી ઓછી ઉંમરે પરણાવા મજબૂર બને.

(10:33 am IST)