Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

હૈદ્રાબાદમાં એક દર્દીના પેટમાંથી ૧૫૬ પથરી નિકળી

લેપ્રોસ્કોપી અને એન્ડોસ્કોપીની મદદથી ઓપરેશન : લેપ્રોસ્કોપી-એન્ડોસ્કોપીથી આટલી મોટી સંખ્યામાં પથરી કાઢવામાં આવી હોય એવો દેશનો સંભવતઃ પહેલો કેસ

હૈદરાબાદ , તા.૧૭ : હૈદરાબાદની હોસ્પિટલમાં એક ૫૦ વર્ષના દર્દીના પેટમાંથી ૧૫૬ પથરી કાઢવામાં આવી હતી. લેપ્રોસ્કોપીની મદદથી આટલી મોટી સંખ્યામાં પથરી કાઢવામાં આવી હોય એવો આ પહેલો બનાવ હતો.

હૈદરાબાદની હોસ્પિટલમાં ડો. વી. ચંદ્રમોહને બસવરાવ માડીવાલરના પેટમાંથી ૧૫૬ પથરી ઓપરેશનથી કાઢી હતી. વ્યવસાયે શિક્ષક એવા બસવરાવને અચાનક પડખામાં દુઃખાવો ઉપડયો હતો. તેણે હોસ્પિટલમાં નિદાન કરાવ્યું તો ડોક્ટરને પણ આશ્વર્ય  થયું હતું. તેના પેટમાં એક, બે, કે પાંચ-પચ્ચીસ નહીં ૧૫૬ પથરી હતી.

ડોક્ટરે તાત્કાલિક તેને દાખલ થવાની સલાહ આપી હતી. લેપ્રોસ્કોપી અને એન્ડોસ્કોપીની મદદથી દર્દીનું ઓપરેશન કરાયું હતું અને તમામ ૧૫૬ પથરી કાઢવામાં આવી હતી. ડોક્ટરે કહ્યું હતું કે લેપ્રોસ્કોપી-એન્ડોસ્કોપીથી આટલી મોટી સંખ્યામાં પથરી કાઢવામાં આવી હોય એવો આ દેશનો સંભવતઃ પહેલો કેસ છે.

ડોક્ટરને પણ આશ્વર્ય એ વાતનું હતું કે પેશન્ટને ક્યારેય પથરીનો દુઃખાવો થયો ન હતો. જ્યારે પહેલી વખત દુઃખાવો થયો ત્યારે જ આટલી મોટી સંખ્યામાં પથરી હોવાની જાણ થઈ હતી. ડોક્ટરના કહેવા પ્રમાણે આ પથરી બે વર્ષમાં જ સર્જાઈ હોવી જોઈએ. નહીંતર આટલો સમય દુઃખાવો ન થાય એ શક્ય નથી.

હોસ્પિટલના નિવેદનમાં કહેવાયું હતું કે બે-ત્રણ દિવસમાં દર્દીને રજા આપી દેવામાં આવશે. હવે તે ત્રણ-ચાર દિવસમાં જ નિયમિત કામકાજ કરી શકશે.

(7:32 pm IST)