Gujarati News

Gujarati News

News of Monday, 18th April 2022

સુપ્રીમ કોર્ટે આશીષ મિશ્રાના જામીન રદ્દ કર્યા : એક સપ્‍તાહમાં કરવું પડશે સરન્‍ડર

લખીમપુર ખીરી કાંડ મુદ્દે સુપ્રીમનો ચુકાદો

નવી દિલ્‍હી તા. 18 : લખીમપુર ખીરીમાં હિંસાના આરોપી આશિષ મિશ્રાને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્‍યો છે. સુપ્રીમ કોર્ટે આશિષ મિશ્રાના જામીન ફગાવી દીધા છે અને એક અઠવાડિયામાં સરેન્‍ડર કરવું પડશે. આશિષ મિશ્રા ગૃહ રાજય મંત્રી અજય મિશ્રા ટેનીનો પુત્ર છે. જેની પર લખીમપુર ખેરીમાં ખેડૂતોને કાર વડે કચડી નાખવાનો આરોપ છે.
4 એપ્રિલે આ કેસમાં તમામ પક્ષકારોની દલીલો સાંભળ્‍યા બાદ સુપ્રીમ કોર્ટે સુનાવણી પૂરી કરીને નિર્ણય સુરક્ષિત રાખ્‍યો હતો. નોંધનીય છે કે, આશિષ મિશ્રાને અલ્‍હાબાદ હાઈકોર્ટે જામીન આપ્‍યા હતા, જેને હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અલ્‍હાબાદ હાઈકોર્ટે પીડિત પક્ષની કાળજી લીધી નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, હાઈકોર્ટે આશિષ મિશ્રાની જામીન અરજી પર પુનર્વિચાર કરવો જોઈએ. જયારે પીડિત પક્ષકારોના વકીલ દુષ્‍યંત દવેએ વિનંતી કરી કે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના મુખ્‍ય ન્‍યાયાધીશને કહે કે આ વખતે આ મામલો અન્‍ય કોઈ બેન્‍ચ સમક્ષ જાય. તેના પર ચીફ જસ્‍ટિસે કહ્યું કે આવો આદેશ આપવો યોગ્‍ય નથી.
ઉલ્લેખનીય છે કે, 3 ઓક્‍ટોબર 2021ના રોજ લખીમપુરના તિકુનિયામાં હિંસામાં 8 લોકોના મોત થયા હતા. આરોપ છે કે, કેન્‍દ્રીય ગૃહ રાજય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા ઉર્ફે મોનુએ પોતાની જીપ વડે ખેડૂતોને કચડી નાખ્‍યા હતા. આ કેસમાં ઉત્તર પ્રદેશ એસઆઈટીએ 5000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. એસઆઈટીએ આશિષ મિશ્રાને મુખ્‍ય આરોપી બતાવ્‍યો હતો. આટલું જ નહીં, એસઆઇટી અનુસાર આશિષ ઘટનાસ્‍થળે હાજર હતો. આ કેસમાં અલ્‍હાબાદ હાઈકોર્ટે ફેબ્રુઆરીમાં આશિષ મિશ્રાને જામીન આપ્‍યા હતા.

 

(3:01 pm IST)