News of Monday, 18th April 2022
કિવ: યુક્રેનિયન યુદ્ધનો આજે ૫૪મો દિવસ છે અને રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું છે કે તેઓ આ દુનિયામાંથી વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે જ્યારથી રશિયાએ તેમના દેશ પર હુમલો કર્યો છે અને રશિયાએ ફરીથી યુક્રેનિયન શહેરો પર હુમલાઓ વધારી દીધા છે, તેથી જ તેઓ હવે તેમના પડોશીઓ પર વિશ્વાસ કરતા નથી. રિપોર્ટ અનુસાર, રશિયાએ પૂર્વી યુક્રેનના લ્વિવ શહેર પર ભયાનક હુમલા કર્યા છે, જેમાં ઘણા લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને ભલે સૈન્ય સહાય ન મળી હોય, પરંતુ પશ્ચિમી દેશો દ્વારા યુક્રેનને લાખો ડોલરના શસ્ત્રો પૂરા પાડવામાં આવ્યા છે, પરંતુ ઝેલેન્સકીએ યુદ્ધના ૫૪માં દિવસે કહ્યું છે કે 'હું વિશ્વ ઉપર વિશ્વાસ કરતો નથી... અમે શબ્દો ઉપર વિશ્વાસ કરતા નથી. રશિયા સાથેના તણાવ પછી, અમને અમારા પડોશીઓમાં વિશ્વાસ નથી રહ્યો. યુક્રેનના રાષ્ટ્રપતિએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, 'અમારો એકમાત્ર વિશ્વાસ દેશના લોકોમાં, તમારામાં છે અને અમારા લોકોમાં, અમારી સેનામાં છે'. સીએનએન સાથેના એક ઇન્ટરવ્યુ દરમિયાન ઝેલેન્સકીએ કહ્યું, 'અમને અહી વિશ્વાસ છે, કારણ કે અહીં અમને માત્ર શબ્દોથી નહીં, પરંતુ કામ દ્વારા સમર્થન મળે છે'.
અમેરિકન ન્યૂઝ ચેનલ સીએનએન સાથે વાત કરતા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે જો કે રશિયન સૈનિકો રાજધાની કિવમાંથી પાછા હટી ગયા છે, પરંતુ તેનો અર્થ એ નથી કે રશિયા ડોનબાસને કબજે કરી શકતું નથી અને યુક્રેનની રાજધાની ફરીથી કબજે કરવાનો પ્રયાસ કરશે નહીં. ઝેલેન્સ્કીએ કહ્યું કે, 'અમે તેમની સાથે [રશિયા] લડ્યા અને તેઓ ચાલ્યા ગયા, અને તેઓ કિવથી ભાગી રહ્યા હતા... આનો અર્થ એ નથી કે જો તેઓ ડોનબાસને કબજે કરવામાં સક્ષમ થશે, તો તેઓ કિવ તરફ આગળ વધશે નહીં. તમને જણાવી દઈએ કે યુદ્ધના એક મહિનાના અંત પછી, યુક્રેને તેની રણનીતિ બદલી અને તેનું ધ્યાન પૂર્વી યુક્રેન તરફ વાળ્યું, જેમાં ડોનબાસનો વિસ્તાર સામેલ છે.
યુક્રેન પર રશિયન આક્રમણનું આઠમું અઠવાડિયું શરૂ થઈ ગયું છે અને છેલ્લા ૫૩ દિવસની લડાઈમાં રશિયા ભલે યુક્રેનની રાજધાની કિવને કબજે કરવામાં નિષ્ફળ રહ્યું હોય, પરંતુ રશિયાએ અત્યાર સુધીમાં અડધાથી વધુ યુક્રેનનો સંપૂર્ણ નાશ કરી દીધો છે. સાથે જ હવે રશિયાનું સૌથી મોટું ટાર્ગેટ માર્યુપોલના બંદર શહેરને સંપૂર્ણપણે કબજે કરવાનું છે, પરંતુ યુક્રેનની સેના શસ્ત્રો મૂકવા કે શરણે આવવા તૈયાર નથી, તેથી મારિયુપોલમાં ભીષણ યુદ્ધ હજુ પણ ચાલુ છે. ગયા અઠવાડિયે, યુક્રેને દાવો કર્યો હતો કે તેણે મિસાઇલ હુમલામાં મેરીયુપોલ કિનારે સ્થિત રશિયન યુદ્ધ જહાજ મોસ્કવાને તોડી પાડ્યું હતું.
મેરીયુપોલ શહેર રશિયા દ્વારા ઘેરાયેલું છે, પરંતુ મેરીયુપોલમાં તૈનાત યુક્રેનિયન સૈનિકોએ બહાદુરીથી રશિયન સૈનિકોના છક્કા છોડાવી દીધા છે અને યુક્રેનના સૈનિકોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ છેલ્લા શ્વાસ સુધી લડશે. માર્યુપોલ શહેર હવે છેલ્લા સાત સપ્તાહના યુદ્ધમાં સંપૂર્ણપણે ખંડેર થઈ ગયું છે, પરંતુ યુક્રેને સ્પષ્ટ કર્યું છે કે તેઓ મૃત્યુ સુધી લડાઈ ચાલુ રાખશે. મોસ્કોએ મુખ્ય બંદર શહેરના મોટાભાગના શહેરી વિસ્તાર પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેવાનો દાવો કર્યો છે. જ્યારે, યુક્રેનના વડા પ્રધાન ડેનિસ શ્યામલે ભારપૂર્વક જણાવ્યું હતું કે રશિયન સૈનિકો વારંવાર યુક્રેનિયન સૈનિકોને આત્મસમર્પણ કરવા માટે કહી રહ્યા છે, પરંતુ આપણા સૈનિકો તેમની તમામ બહાદુરી સાથે યુદ્ધ લડી રહ્યા છે. તેણે એબીસી ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, મેરીયુપોલ શહેર હજુ સુધી રશિયાના કબજામાં નથી આવ્યું.