Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

મહારાષ્ટ્રમાં કોરોનાથી સાજા થયેલ મહિલા દર્દીને નવી બિમારી લાગુ પડીઃ પીઠના દુઃખાવાની ફરીયાદ બાદ આખા શરીરમાં પસ થઇ ગયું

મુંબઈ: દુનિયાભરમાં કોરોના મહામારી  નો કેર યથાવત છે. બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેનની દહેશત હજુ ઓછી નથી થઈ ત્યાં તો પોસ્ટ કોવિડ પીરિયડમાં સામે આવેલી એક સાઈડ ઈફેક્ટે ડોક્ટરોને અચંબિત કરી દીધા છે. દિલ્હીમાં કોરોનાને માત આપીને સાજા થયેલા દર્દીઓમાં નવી બીમારીથી પીડિત થવાનો આ એક અનોખો મામલો સામે આવ્યો છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પીઠમાં દુખાવાની ફરિયાદ બાદ એક મહિલાના સમગ્ર શરીરમાં પસ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું. દુનિયામાં આવા 7 કેસ સામે આવી ચૂક્યા છે. ભારતમાં પોસ્ટ કોવિડ પીરિયડનો આ પહેલો કેસ છે. 


ડોક્ટરોને પીડિત મહિલાના શરીરમાં કોરોનાની એન્ટીબોડી મળી હતી. કોરોના વાયરસ સંક્રમણથી સાજા થયા બાદ આમે આવેલું આ નવું લક્ષણ છે. જો કે રાહતની વાત એ હતી કે આ મહિલાની ત્રણ સર્જરી થઈ ચૂકી છે અને તે હવે સંપૂર્ણ સ્વસ્થ છે. જિલ્લાના બજાજ નગરમાં રહેતી આ મહિલા લાંબા સમયથી કમરના દુખાવાથી પીડિત હતી. મહિલા જ્યારે ઔરંગાબાદની હેડગેવાર હોસ્પિટલ ગઈ તો તેના પગમાં સોજા પણ હતા. ડોક્ટરોએ તપાસ કરી અને તેનો MRI રિપોર્ટ કરાવ્યો. રિપોર્ટ જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા. 


વાત જાણે એમ છે કે મહિલના આખા શરીરમાં ગળાથી લઈને કરોડરજ્જુ સુધી..એટલે સુધી કે બંને હાથમાં અને પેટમાં પણ પસ ભરાઈ ગયું હતું. ડોક્ટરોએ તરત જ તેને એડમિટ કરી અને સર્જરીથી પસ કાઢીને નવી તપાસ હાથ ધરી. ઓપરેશનથી તેનો જીવ બચી ગયો. ત્રણવાર કરાયેલી સર્જરીથી મહિલાના શરીરમાંથી અડધો લીટરથી પણ વધુ પસ કાઢવામાં આવ્યું. આ મહિલાને 21 ડિસેમ્બરે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાઈ. સ્વસ્થ થયા બાદ મહિલા વારંવાર ડોક્ટરોનો આભાર માની રહી છે. 


અમેરિકા અને યુરોપમાં કોરોના વાયરસનું સૌથી ખતરનાક મ્યુટેશન એટલે કે ભીષણ સ્વરૂપ જોવા મળ્યું છે. આ કડીમાં ઈમ્યુનિટીની વાત કરીએ તો એકલા યુરોપમાં જર્મનીમાંથી જ આવા 6 કેસ જોવા મળ્યા છે. હોસ્પિટલ અધિક્ષકના જણાવ્યાં મુજબ આ કેસ પર હજુ વધુ સ્ટડી ચાલુ છે.  તેમને આવા જ એક કેસની જાણકારી જર્નલ ઓફ ન્યૂરોલોજીના સપ્ટેમ્બરના અંકમાં 'કોરોનાથી ઠીક થયા બાદ અસામાન્ય લક્ષણ' વિષય પર મળી હતી. 


ભારતમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24,712 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,01,23,778 પર પહોંચી ગયો છે. જેમાંથી 2,83,849 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જ્યારે 96,93,173 દર્દીઓ સાજા થઈ ગયા છે. કોરોનાથી એક દિવસમાં 312 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 1,46,756 થયો છે. એક જ દિવસમાં 29,791 લોકોએ કોરોનાને હરાવવામાં સફળતા મેળવી છે. 

(5:46 pm IST)