Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

બંગાળમાં હિંદુ મતદારોને મતની છૂટ માટે કોર્ટમાં અરજી

આવતા વર્ષે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી યોજાવાની છે : ચૂંટણીને કોઈ પણ પ્રભાવથી મુક્ત રાખવા અને સંપૂર્ણ નિષ્પક્ષ આયોજન માટે અરજદારે સુપ્રીમના દ્વાર ખખડાવ્યા

નવી દિલ્હી, તા. ૨૪ : આવતા વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. સમય દરમિયાન, રાજ્યમાં રાજકીય હિંસાના વધતા જતા કેસોને કારણે નિષ્પક્ષ ચૂંટણી સંપન્ન થવા અંગે પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. કારણ છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીને કોઈ પણ પ્રભાવથી મુક્ત રાખવા અને સંપૂર્ણ નિષ્પક્ષ ચૂંટણી યોજવા માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યાછે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં માંગ કરવામાં આવી છે કે મતદાર યાદીમાં નકલી મતદારોના નામ કાઢી નાખવાની કાર્યવાહી કરવા ચૂંટણી પંચને નિર્દેશ આપવામાં આવે. પુનીત કૌર ઢાંઢા વતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. અરજદારે કહ્યું છે કે, ચૂંટણી પંચને પશ્ચિમ બંગાળના બનાવટી મતદારો અંગે વિગતવાર અહેવાલ રજૂ કરવા કહેવું જોઈએ. અરજદારે કહ્યું છે કે ઘણી જગ્યાએ હિન્દુ મતદારોને મત આપવાની છૂટ નથી અને નકલી મતો દ્વારા મત આપવામાં આવે છે.

અરજદારે કહ્યું કે માલદા, ઉત્તર દિનાજપુર, મુર્શિદાબાદ, નાદિયા, કૂચ બિહાર, ઉત્તર ૨૪ પરગણા અને દક્ષિણ ૨૪ પરગણા અને કોલકાતામાં ઘણા એવા ક્ષેત્ર છે જ્યાં મુસ્લિમો બહુમતી ધરાવે છે અને હિન્દુઓને વિસ્તારોમાં મતદાન કરવાની મંજૂરી નથી. કોઈકને કોઈક રીતે તેમને મત આપવાથી રોકવામાં આવે છે. અરજદારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે વિરોધી પક્ષના નેતાઓ અને કાર્યકરોની હત્યાઓ કરવામાં આવે છે. આને ટાંકીને અરજીમાં કહેવામાં આવ્યું છે કે તમામ કેસોની તપાસ સીબીઆઈ દ્વારા થવી જોઈએ. રાજ્યમાં કેટલાક વર્ષોથી રાજકીય હત્યાઓ ચાલી રહી છે અને તેમાં ભાજપના નેતાઓની હત્યા વધારે થઈ છે. જે પાર્ટી સત્તામાં છે તેણે આવી હત્યાઓ રોકવા માટે અસરકારક પગલાં લીધાં નથી. મહિલા નેતાઓની પણ હત્યા કરવામાં આવી છે. રાજ્યમાં માનવાધિકારના ઉલ્લંઘનનો આરોપ છે. વિરોધી પક્ષના નેતાઓને પણ ત્યાં સુરક્ષા પૂરી પાડવા માટે વિનંતી કરવામાં આવી છે.

(7:21 pm IST)