Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

એલજી કંપની મોબાઇલના બિઝનેસને આગામી મહિનાથી શટડાઉન કરશેઃ ખરીદદાર ન મળતા કંપનીની જાહેરાતઃ મેન્‍યુફેકચરિંગ બંધ કરી દીધુ

અમદાવાદઃ LG મોબાઈલના બિઝનેસને આગામી મહિનાથી શટડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. એક રિપોર્ટ મુજબ કંપનીને મોબાઈલ બિઝનેસમાં સતત ખોટ થઈ રહી છે. સાથે જ કંપનીને કોઈ ખરીદાર નથી મળી રહ્યાં. આ માટે કંપની પાસે અન્ય કોઈ ઉપાય બચ્યો નથી. છેલ્લા કેટલાક વર્ષોથી કોરિયન કંપની LG ઈલેક્ટ્રોનિક્સ પોતાના સ્માર્ટફોન બિઝનેશમાં સંઘર્ષ કરી રહી છે. કંપની નવા સ્માર્ટફોન લોન્ચ તો કરે છે, પરંતુ તે માર્કેટમાં ફ્લોપ થઈ જાય છે. તેવામાં LG પોતાનો મોબાઈલ બિઝનેસ બંધ કરી શકે છે. કંપનીએ તો પોતાનો મોબાઈલ બિઝનેસ વેચવાનો પણ નિર્ણય કર્યો છે. જો કે એવું લાગે છે કે કંપનીને કોઈ ખરીદાર નથી મળી રહ્યો.

મહત્વનું છે કે LG પાસે ગ્લોબલ સ્માર્ટફોન માર્કેટ શેરમાં માત્ર 1 ટકા ભાગીદારી છે. ખરીદાર ન મળતા કંપની પાસે બીજો કોઈ ઉપાય બચતો નથી. હાલ તો કંપનીએ આ અંગે કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી નથી. જો કે કંપની આગામી મહિને આ મુદ્દે એલાન કરી શકે છે. રિપોર્ટ મુજબ LG જર્મનીની કંપની ફોક્સવેગન અને વિયેતનામની કંપની વિન ગ્રુપ સાથે મોબાઈલ બિઝનેસને વેચવાની ચર્ચા કરી રહી હતી, જો કે તેમાં પણ નિષ્ફળતા મળી. બ્લૂમબર્ગની એક રિપોર્ટ મુજબ LG ઈલેક્ટ્રોનિક્સના CEOએ જાન્યુઆરીમાં કહ્યું હતું કે કંપનીને મોબાઈલ બિઝનેસમાં ખોટ થઈ રહી છે અને તેના માટે દરેક ઉપાય શોધી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે કંપનીએ ગત મહિનાથી પોતાના મોબાઈલ ફોન્સનું મેનુફેક્ચરિંગ બંધ કરી દીધું છે.

હાલમાં LGએ પોતાનો રોલેબલ ડિસ્પ્લે સાથેનો કોન્સેપ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. આ સ્માર્ટફોનનું પ્રોડક્શન રોકવામાં આવશે નહીં. જો કે આ ફોન માર્કેટમાં લોન્ચ થશે કે નહીં તે સ્પષ્ટ નથી. ભારતમાં સ્માર્ટફોન મામલે ટફ કોમ્પિટીશન ચાલી રહ્યું છે. તેમાં પણ LGના સ્માર્ટફોન ફ્લોપ થવા માટે અનેક કારણો છે. જેમાંથી મહત્વનું કારણ એ છે કે કંપનીએ ફોનની કિંમતો પર પૂરતું ધ્યાન આપ્યું નથી. ન તો સેગમેન્ટની દ્રષ્ટિએ એવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે જે હરીફ કંપનીને ટક્કર આપી શકે.

(4:50 pm IST)