News of Thursday, 27th January 2022
નવી દિલ્હી તા. ૨૭ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર મોટો આરોપ લગાવતા કહ્યું કે, ટ્વિટર મોદી સરકારના દબાણ હેઠળ કામ કરી રહ્યું છે. તેમના ફોલોઅર્સ વધી રહ્યા છે, મારા ઘટી રહ્યા છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે, આ માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ સરકારના દબાણમાં કામ કરી રહ્યું છે. રાહુલ ગાંધીએ પોતાના પત્રમાં લખ્યું છે કે, ટ્વિટર પર અનેક અકાઉન્ટમાં હવે નવા ફોલોઅર્સને જોડાવાની ફલો ઓછો થઈ રહ્યો છે. રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર ઓગસ્ટ ૨૦૨૧માં તેમના અકાઉન્ટને થોડા દિવસ માટે બ્લોક કર્યા બાદ તેમના ફોલોઅર્સની સંખ્યા એક રીતે વધવાની બંધ થઈ ગઈ હતી.
મીડિયામાં આવેલા રિપોર્ટ્સ અનુસાર રાહુલ ગાંધીએ ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલને ૨૭ ડિસેમ્બરે પત્ર લખ્યો હતો. રાહુલે તેમાં આરોપ લગાવ્યો હતો કે, આ પ્લેટફોર્મ સંભવતઃ પ્રધાનમંત્રી મોદીના દબાણમાં કામ કરી રહ્યું છે.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી તરફથી પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસ નેતા શશિ થરૂરના ટ્વિટર અકાઉન્ટના ફોલોઅર્સની સરખામણી કરવામાં આવી છે. રાહુલે આ નેતાઓના આંકડા રાખતા કહયું કે, આ તમામના ફોલોઅર્સની સંખ્યામાં લગભગ-લગભગ સરખી ઝડપી વધારો થઈ રહ્યો છે પણ તેમના અકાઉન્ટમાં આવું થતું નથી.
ટ્વિટરના પ્રવક્તાએ રાહુલ ગાંધીના આરોપ પર કમેન્ટ કરવાની ના પાડી દીધી છે. જો કે, સાથે તેમણે ફોલોઅર્સની સંખ્યામાં ઉતાર-ચડાવ થતો રહે છે, કારણ કે, કંપની સ્પેમ અને હેરફેર વાળા અકાઉન્ટનો સફાયો કરવા માટે મશીન લર્નિંગનો ઉપયોગ કરે છે.
પ્રવક્તાએ વધુંમાં જણાવ્યું કે, ટ્વિટર દર મહિને તેમની નીતિઓનું ઉલ્લંઘન કરનારા લાખો અકાઉન્ટ હટાવતું રહે છે. જો કે, કોંગ્રેસના ટ્વિટ તરફથી આપવામાં આવેલા સ્પષ્ટીકરણને ફગાવી દેતા કહ્યું કે, આ સંતોષજનક જવાબ નથી. રાહુલ ગાંધીની ઓફિસના ડિજિટલ કમ્યુનિકેશનના ઈંચાર્જ શ્રીવત્સ વાઈબીએ કહ્યું કે, આ તો એક દમ વ્યાખ્યાત્મક નથી અને ન તો સંતોષજનક જવાબ છે. ઘટનાનો કાળક્રમ ટ્વિટરના દાવા સાથે મેળ ખાતો નથી.ᅠ
રાહુલ ગાંધીનું ટ્વિટર અકાઉન્ટ ઓગસ્ટ ૨૦૨૧માં તે સમયે વિવાદોમાં આવ્યું હતું, જયારે દિલ્હીમાં એક રેપ પીડિતાના પરિવારની તસ્વીટર ટ્વિટ કરી દીધી હતી. ભાજપની ફરિયાદ બાદ ટ્વિટરે માન્યું કે, રાહુલ ગાંધીએ તેમના નિયમોને નજરઅંદાજ કર્યા છે. બાદમાં ટ્વિટરે ૮ દિવસ સુધી કોંગ્રેસ નેતાનું ટ્વિટર અકાઉન્ટ બંધ કરી દીધું હતું.
રાહુલ ગાંધીએ ટ્વિટરને આંકડા આપતા કહ્યું કે, ઓગસ્ટ પહેલા તેમના ફોલોઅર્સની સંખ્યામાં મહિનામાં લગભગ ૨.૩ લાખનો વધારો થઈ રહ્યો હતો. થોડા મહિનામાં ૬.૫ લાખ સુધી નવા ફોલોઅર્સ જોડાઈ ગયા હતા. રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર ઓગસ્ટ ૨૦૨૧થી દર મહિને લગભગ તેમના ૨૫૦૦ ફોલોઅર્સ ઓછા થઈ રહ્યા છે. સાથે જ તેમના કુલ ફોલોઅર્સની સંખ્યા ત્યારથી ૧.૯૫ કરોડની આસપાસ અટકેલા છે.