Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

આ આંધળી સિસ્ટમને અરિસો બતાવતા રહો : રાહુલ ગાંધી

કોરોનામાં લોકોની બેહાલી પર કેન્દ્ર પર રાહુલનો વાર : સૂરજેવાલાએ પણ દિલ્હીના સ્મશાનોમાં મૃતદેહોની પડેલી લાઈનની તસવીર શેર કરીને નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું

નવી દિલ્હી, તા. ૨૮ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના કહેર વચ્ચે લોકોની બેહાલી પર ફરી એક વખત કેન્દ્ર સરકારની ટીકા કરી છે.

રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, અત્યારના કપરા સમયમાં લોકો એક બીજાની સહાયતા કરી રહ્યા છે અને આ લોકો બતાવી રહ્યા છે કે, કોઈના દિલને સ્પર્શે તેવુ કામ કરવા માટે કોઈના હાથને અડકવાની જરુર નથી.એક બીજાની મદદ કરતા રહો અને આ આંધળી સિસ્ટમને અરિસો બતાવતા રહો.

દરમિયાન કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ પણ દિલ્હીના સ્મશાન ઘાટો પર અંતિમ સંસ્કાર માટે મૃતદેહોની પડેલી લાઈનની તસવીર શેર કરીને પીએમ મોદી પર નિશાન સાધ્યુ હતુ.તેમણે કહ્યુ હતુ કે, આ પ્રકારની તસવીરો મોદી સરકારનો જીવનભર પીછો નહીં છોડે.આ તસવીરો માનવતાના વિરોધમાં છે અને આ સરકારના અપરાધનો પૂરાવો છે.અંતિમ સંસ્કારનો સિલસિલો અંતહીન છે.જે અહંકારી સરકારના પથ્થરદિલનો પૂરાવો પણ છે.પોતાના જ લોકોની લાશો પર સરકાર પોતાનો પાયો મજબૂત કરી શકે નહીં.

(8:01 pm IST)