Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

તમામ બિલ્ડીંગોનું વર્ષમાં બે વખત થશે ફાયર ઈન્સ્પેકશન

ગુજરાતમાં વધી રહેલા આગના બનાવોને પગલે આખરે સરકારે ફાયર સેફટી સિસ્ટમ સુદ્રઢ બનાવવા નિર્ણય લીધો : ૮ મહાપાલિકાઓમાં ૨૫૦ ફાયર સેફટી ઓફિસરો નિમાશેઃ તેઓ જે તે બિલ્ડીંગોનું ઓડિટ-તપાસ કરશેઃ તેમના રીપોર્ટને આધારે ફાયર એનઓસી અપાશેઃ બિલ્ડીંગ ધરાવનારને પાયાની ફાયર સેફટીની તાલીમ અપાશે

નવી દિલ્હી, તા. ૨૮ :. ગુજરાતની વિવિધ ઈમારતો અને હોસ્પીટલોમાં વધતા આગના બનાવોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રાજ્યભરના તમામ બિલ્ડીંગોમાં વર્ષમાં બે વખત ફાયર ઈન્સ્પેકશન ફરજીયાત બનાવ્યુ હોવાનું જાણવા મળે છે. જો આ દરમિયાન કોઈ ચૂક કે લાપરવાહી જોવા મળી તો જે તે બિલ્ડીંગ સીલ કરી દેવા સુધીની સરકારની તૈયારી છે. ગુજરાત હાઈકોર્ટે આ અંગે રાજ્ય સરકારને આ મામલે ઠપકો મળતા સરકારે ફાયર સેફટી સિસ્ટમને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે.

ગુજરાત સરકારે તમામ ફાયર સેફટી ઓફિસરોને આ અંગે ઓથોરાઈઝડ પણ કર્યા છે તેઓ તમામ બિલ્ડીંગોનું ઈન્સ્પેકશન કરશે. એટલુ જ નહિ તેઓ ફાયર સેફટી પ્લાન પણ તૈયાર કરશે તેવુ સૂત્રોએ જણાવ્યુ છે. પ્રારંભિક તબક્કે રાજ્યની ૮ મહાનગરપાલિકાઓમાં ૨૫૦ જેટલા ફાયર સેફટી ઓફિસરોને આ બાબતની સત્તા આપવામાં આવશે.

સરકાર દ્વારા રજીસ્ટર્ડ પામેલા આ ફાયર સેફટી ઓડિટરો જે તે બિલ્ડીંગના માલિકો અથવા તો મેનેજરો પાસેથી ફી ચાર્જ કરશે. આ ઉપરાંત જે ઉદ્યોગોમાં કેમીકલ અને ફટાકડાનું ઉત્પાદન થતુ હોય ત્યાં આ ઓફિસરો પણ તપાસ માટે જશે. ગુજરાતમાં આગ અંગેના નીતિનિયમો અને એનઓસીના મામલાનો ભંગ થઈ રહ્યો હોવાનું જાણવા આવતા રાજ્ય સરકારે ધ ગુજરાત ફાયર સેફટી પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેજર્સ રેગ્યુલેશન્સ-૨૦૨૧ની રચના કરી હતી. જેમાં આ બધી વિગતોનો સમાવેશ થાય છે.

આ બાબતના રેગ્યુલેશન હેઠળ ફાયર સેફટી ઓફિસર દ્વારા વિગતવાર રીપોર્ટ આપવામાં આવ્યા બાદ નવા બિલ્ડીંગ માટે એનઓસી આપવામાં આવશે. જે મ્યુ. કોર્પો. મારફત અપાશે. આ અંગેની રીન્યુઅલ પ્રોસેસ સંપૂર્ણપણે ઓનલાઈન હશે જે અગ્નિશામક વિભાગ સાથે જોડાયેલ હશે. ફાયર સેફટી ઓફિસર દ્વારા વિગતવાર રીપોર્ટ અપાયા બાદ ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન ઓફિસર એનઓસી રીન્યુ કરશે. રીન્યુઅલ પ્રોસેસમાં ફાયર સેફટી ઓફિસરની ભૂમિકા મહત્વની બનશે. તેઓ ચેકીંગ હાથ ધરશે અને ફાયર સેફટી પ્લાન ઘડશે. બિલ્ડીંગ ફાયર સેફટી ટીમની રચના કરવામાં આવશે જેમાં ફાયર સેફટી ડાયરેકટર, ડે. ફાયર સેફટી ડાયરેકટર, ફાયર વોર્ડન અને તેઓના ડેપ્યુટી પણ હશે. એટલુ જ નહિ બિલ્ડીંગ સુપરવાઈઝર અને ફાયર પાર્ટી પણ હશે.

માત્ર અમદાવાદમાં જ દર વર્ષે ૪૦,૦૦૦ એનઓસી ઈશ્યુ કરવામાં આવે છે. ફાયર બ્રિગેડ સ્ટાફ ઈન્સ્પેકશન કરે છે અને પછી રીપોર્ટ આપે છે. હવે ફાયર બ્રિગેડ ઉપર સ્ટાફ પરનો બોજો હળવો થશે.

ફાયર સેફટી ઓફિસરોની ૩ કેટેગરી હશે. જેમાં બેઝીક, એડવાન્સ અને સ્પેશ્યલાઈઝડ હશે. જેમાં બેઝીક ઓફિસરોને લો-રાઈઝના મકાનોનો હવાલો સોંપાશે. જ્યારે એડવાન્સ ઓફિસરોને ૧૦ માળ સુધીના બિલ્ડીંગોની તપાસણીનુ કામ સોંપાશે. જ્યારે સ્પેશ્યલાઈઝડ ઓફિસરો સ્પેશ્યલ બિલ્ડીંગો અને ભવિષ્યમાં ઉભા થનાર ગગનચુંબી બિલ્ડીંગોનુ કામ સંભાળશે.

ફાયર સેફટી ઓફિસરોએ એ તપાસવાનુ રહેશે કે ફાયર ફાઈટીંગ સિસ્ટમ મુકેલી છે અને તે કામકાજની સ્થિતિમાં છે. તેઓ વર્ષમાં બે વખત બિલ્ડીંગોની તપાસ કરશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ નવી પ્રથાથી એનઓસી ઈશ્યુ કરવામાં પારદર્શિતા આવશે અને કોઈ નિયમોનું પાલન નહિ થાય તો ફાયર ઓડિટરો જવાબદાર ગણાશે. ફાયર સેફટી ઓફિસરોને ૧૫મી મેથી કામકાજ શરૂ કરવા જણાવાયુ હતુ પરંતુ કોરોનાના કારણે તે વિલંબમાં પડયુ છે. સરકાર તેઓને ટૂંક સમયમાં કામગીરી સોંપશે તેવુ સૂત્રોએ જણાવ્યુ છે. આ ફાયર સેફટી ઓફિસરો ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ હશે જેઓ ફાયર સર્વિસ ઈન્સ્ટીટયુટમાંથી ડીગ્રી મેળવેલા હશે. એટલુ જ નહિ તેઓએ ફાયર સેફટીની તાલીમ પણ લીધેલી હશે.

(10:14 am IST)